વિદ્યાર્થી નેતા અને આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલ યુવરાજસિંહ જાડેજાએ ફરી એકવાર સરકારી ભરતીઓમાં થતા કૌભાંડને લઈને મીડિયા સમક્ષ આવ્યા હતા. અને સરકાર સામે આક્રોશ ઠાલવ્યો હતો. જેમાં તેમણે સરકાર સામે સીધા જ સવાલો ઉઠાવ્યા હતા. યુવરાજસિંહે સરકારને સવાલ કરતા કહ્યું કે, પરિણામલક્ષી કાર્યવાહીની માત્ર વાતો કરવામાં આવે છે. ગુજરાતમાં 11 પેપર ફૂટ્યા તેમ છતાં આજદીન સુધી એક પણ વખત પરિણામલક્ષી કાર્યવાહી ના થઇ હોવાનો આક્ષેપ ગુજરાત સરકાર પર કર્યો હતો.
યુવરાજસિંહે વધુમાં જણાવ્યું કે, આજે તેઓ ગુજરાત સરકારને સજાગ કરવાના હેતુથી આવ્યા છે. તેમણે આશંકા વ્યકત કરતા કહ્યું કે ,આગામી દિવસોમાં પણ સરકારી ભરતીના પેપર ફુટવાની ઘટના બની શકે છે. આટલા બધા પેપર ફૂટ્યા તેમ છતાં આજ સુધીમાં ન તો વ્યવસ્થા સુધરી અને ન તો સિસ્ટમમાં રહેલ સડો બહાર આવ્યો. જેને જોતા આગામી સમયમાં આવનારી ભરતીના પેપર નહી ફુટે તેની શુ ગેરંટી.
યુવરાજસિંહે રાજરસ્થાન સરકાર અંગે વાત કરતા જણાવ્યું હતું કે, પડોશી રાજ્ય રાજસ્થાનમાં રિટની પરીક્ષાનું પેપર ફૂટતા ત્યાંજ સરકારે તાત્કાલીક પગલા ભર્યા હતા. અને તમામ જવાબદાર અધિકારીઓ તેમજ બોર્ડના અધ્યક્ષના ઘરે દરોડા પડ્યા હતા. અને કડક કાર્યવાહી કરવામાં આવી હતી. અને બીજી બાજુ ગુજરાતમાં આટલા બધા પેપર ફુટવાની ઘટના બની હોવા છતા આજ દિન સુધીમાં એક પણ અધિકારી સામે કડક કાર્યવાહી કરાઈ નથી. તેમણે સવાલ કર્યો હતો કે , જો રાજસ્થાનની સરકાર ઘટનાની ગંભીરતા સમજીને કડક કાર્યવાહી કરી શકતી હોય તો ગુજરાતની ભાજપ સરકાર આવી કડક કાર્યવાહી કેમ ના કરી શકે?