GujaratJunagadhSaurashtra

જૂનાગઢમાં પથ્થરમારા બાદ સગીર આરોપીને જાહેર માર મારવાના કેસમાં હાઈકોર્ટે પોલીસકર્મીઓને આડેહાથ લીધે, આ આપ્યો મહત્વનો આદેશ

જૂનાગઢ પથ્થરમારામાં ઝડપાયેલા આરોપીને પોલીસ દ્વારા જાહેરમાં માર મારવા આવતા ગુજરાત હાઈકોર્ટ દ્વારા સખ્ત પગલું ભરવામાં આવ્યું છે. હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આરોપીઓને માર મારવાના કેસમાં પોલીસકર્મીઓને સરકારી વકીલ મળશે નહીં. તેની સાથે જ પોલીસકર્મીઓને સરકારી વકીલની જગ્યાએ સ્વખર્ચે પોતાનો વકીલ રોકવાનો હુકમ હાઈકોર્ટે ફરમાવ્યો છે.

તમને આ ઘટનાને લઈને જણાવી દઈએ કે, જૂનાગઢમાં 16 જૂનના બનેલી પથ્થરમારાની ઘટનામાં ઝડપાયેલા 6 આરોપી અને 4 ચાર સગીરને પોલીસ દ્વારા જાહેરમાં કોરડા મારવામાં આવ્યા હતા. જ્યારે પથ્થરમારાની ઘટના બાદ પકડાયેલા આરોપીઓની સાથે 4 સગીરોને પણ પોલીસ દ્વારા લોક-અપમાં અભદ્ર ભાષા વાપરીને માર મારવામાં આવ્યો હતો.

ત્યાર બાદ પીડિતો દ્વારા હાઈકોર્ટમાં એક અરજી કરીને જવાબદાર પોલીસકર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આ અરજીને હાઈકોર્ટમાં સુનાવણી યોજવામાં આવી હતી. આ દરમિયાન પીડિતના વકીલ દ્વારા દલીલો કરવામાં આવી હતી. પથ્થરમારાની ઘટના બાદ પોલીસ દ્વારાસગીરોને બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. ત્યાર બાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા DySP, PI સહિત 32 પોલીસકર્મીને કન્ટેમ્પટ ઓફ કોર્ટની નોટિસ ફટકારાઈ હતી. કોર્ટ દ્વારા તમામ પોલીસ કર્મચારીઓને બે અઠવાડિયામાં કોર્ટમાં હાજર થવાની નોટિસ અપાઈ હતી. તેની સાથે જ કોર્ટ દ્વારા તમામ જવાબદાર પોલીસ અધિકારીઓને જવાબ રજૂ કરવાનો આપવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, 16 જૂનના રોજ જૂનાગઢના મજેવડી દરવાજા નજીક સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. જૂનાગઢમાં દબાણ હટાવવા મુદ્દે એક ધર્મસ્થાનને નોટિસ આપવામાં આવતા કેટલાક લોકો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મોડી રાત્રીના ટોળા દ્વારા પોલીસની ગાડી, એસ.ટી. બસ તેમજ અન્ય વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. ટોળા દ્વારા થયેલા હુમલામાં એક DCP અને 3 પોલીસકર્મીને ઈજા થઈ હતી. PGVCL ની ગાડી ઉપર કરવામાં આવેલ પથ્થરમારામાં ડ્રાઈવરને પણ ઈજા થઈ હતી. પથ્થરમારાની આ ઘટનામાં એક નાગરિકનું મૃત્યું પણ નીપજ્યું હતું. ત્યાર બાદ પોલીસ દ્વારા 174 લોકોને રાઉન્ડઅપ પણ કરવામાં આવ્યા હતા. પથ્થરમારાના બનાવમાં પકડાયેલા આરોપીઓને પોલીસ દ્વારા જાહેરમાં કોરડા મારવામાં આવ્યા હતા. તેમ છતાં આ તમામને જામીન પર છોડી દેવાયા હતા.