ગઈ કાલે ગુરુવારના રોજ AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પ્રચાર માટે ગયા હતા. ત્યારે તેમના કાફલા પર ગોળીબાર થયો હતો. જેને લઈને આજે લોકસભામાં અસદુદ્દીન ઓવૈસીએ પોતાના પર થયેલા હુમલાને લઈને સરકારને સવાલ કર્યો છે કે જે લોકોએ આ હુમલો કર્યો છે તે લોકો પર UAPA કેમ લગાવવામાં આવતું નથી?
ઓવૈસીએ જણાવ્યું હતું કે, આખરે આ લોકો છે કોણ કે જેઓ બંધારણ પર નહીં પરંતુ બંદૂકની ગોળી પર વિશ્વાસ કરે છે. તેમણે વધુમાં કહ્યું કે, NDA 1એ જે ભૂલ કરી હતી, એ જ ભૂલ તમે પણ કરી રહ્યા છો. તેમણે સરકારને ઘેરવાનો પ્રયાસ કરતા સવાલ કર્યો કે જે લોકોએ આ હુમલો કર્યો તેમના પર UAPA શા માટે લગાવવામાં આવતું નથી.
અસદુદ્દીન ઓવૈસીએ રાહુલ ગાંધીના ભાષણ પર વાત કરતા જણાવ્યું કે, ગઈ કાલે કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે ભારતના બે ભાગ થઇ ગયા છે. એક ભાગ અમીર અને બીજો ભાગ ગરીબ છે. પરંતુ હું કહેવા માંગુ છુ કે, ભારતના બે ભાગ છે પરંતુ તે સંપત્તિની દ્રષ્ટિએ નહિ પરંતુ પ્રેમ અને નફરતની દ્રષ્ટિએ છે. તેમને કહ્યું કે મને મોતનો ડર લાગતો નથી. મે 6 ફૂટ નજીકથી બન્દૂકની ગોળીઓ જોઈ છે.
સિક્યોરિટી પર ઓવૈસીએ જણાવ્યું કે, મને મોતનો ડર નથી. હું ભારતમાં જન્મ્યો છું, અને અહીંયા જ મરીશ. મને કોઈપણ પ્રકારની સુરક્ષા જોઈતી નથી. હું બંધનમાં નહીં પરંતુ મુક્ત જીવન જીવવા માંગુ છુ. મારે Z કેટેગરીની સુરક્ષા જોઈતી નથી.ગુરુવારે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પ્રચાર કરવા માટે આવ્યા હતા. ત્યારે હાપુડ ટોલ પ્લાઝા પાસે તેમના કાફલા પર ગોળીબાર થયો હતો. યુપી પોલીસે ઓવૈસીના કાફલા પર ગોળીબાર કરનાર બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ બહાર આવ્યા છે. જેમાં આરોપીઓ સપષ્ટ દેખાઈ રહ્યા છે. શુક્રવારે બંને આરોપીઓને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે બંને આરોપીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. આ મામલે સોમવારના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકસભામાં નિવેદન આપશે.