GujaratRajkotSaurashtra

આખરે રાજકોટના પોલીસ કમિશનરે વસુલી કાંડ પર આપ્યું નિવેદન

ધારાસભ્ય ગોવિંદ પટેલે કરેલ લેટર બોમ્બ બાદ છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચામાં રહેલા રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ આજે ત્રણ દિવસ પછી પોતાના ઘરે પહોંચ્યા હતા. સલવાયેલી ઉઘરાણીની રિકવરીના એક મામલામાં 75 લાખ રુપિયાનું કમિશન લીધું હોવાના આક્ષેપો બાદ મીડિયા સમક્ષ આવેલા મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજકોટ પોલીસ પર થઈ રહેલ આક્ષેપોની તપાસ ઉચ્ચ અધિકારી કરશે. ઉલ્લેખનીય છે કે, આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીને ધારાસભ્ય ગોવિંદ પટેલે પત્ર લખીને તપાસની માંગ કરી હતી. ભાજપના સાંસદ અને રાજ્ય સરકારના મંત્રીએ પણ ગોવિંદ પટેલને આ મુદ્દે સમર્થન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, રૂપિયા 75 લાખનું કમિશન લેવાના આક્ષેપ થયા બાદ રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ગુમ થઈ ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, મનોજ અગ્રવાલે ઓફિસે આવવાનું પણ બંધ કરી દીધું હતું. તેમજ તે પોતાના ઘરે પણ નહોતા. કેટલાક લોકો એવું પણ કહી રહ્યા હતા કે,પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ગાંધીનગર ખાતે પહોંચીને પોતાના બચાવ માટે પ્રયાસો કર્યા હતા. ઉચ્ચ સ્તરે મનોજ અગ્રવાલે એવી પણ રજૂઆત કરી હતી કે નેતાઓ વચ્ચે ચાલી રહેલ આંતરિક બબાલમાં તેમને ફસાવવામાં આવી રહ્યા છે. મનોજ અગ્રવાલને પૂર્વ સીએમ વિજય રુપાણીના નજીકના ગણવામાં આવે છે. રુપાણી જ્યારે સીએમ હતા ત્યારે તેમના વિરોધી જૂથના મનાતા નેતાઓના કામ ના થતાં હોવાની અનેક ફરિયાદો પક્ષના હાઇકમાન્ડ સુધી કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, ધારાસભ્ય ગોવિંદ પટેલે તેમના પત્રમાં રાજકોટના પોલીસ કમિશનર કોઈના ફસાયેલા પૈસાની ઉઘરાણીના કેસમાં પોતાના હોદ્દા અને સત્તાનો દુરુપયોગ કરીને હવાલા સંભાળી રહ્યા છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આઠ મહિના પહેલા રાજકોટના મહેશ સખીયા નામના વ્યક્તિ સાથે 15 કરોડની ઠગાઈ થઈ હતી. અને આ મુદ્દે FIR પણ દાખલ ના કરી અને જે કંઈ રિકવરી થાય તેમાંથી 15 ટકા જેટલો હિસ્સો માગવામાં આવ્યો હતો.

આ ઘટનામાં સાત કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી હતી. જેમાંથી મનોજ અગ્રવાલે 75 લાખ રુપિયા પીઆઈ મારફતે વસૂલ કર્યા હતા. જ્યારે બાકીના 30 લાખ રૂપિયાની ઉઘરાણી પીઆઈ ખુદ કરી રહ્યા હતા. જોકે, આ પૈસા ના મળતા FIR કરીને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. મહેશ સખીયાના સલવાયેલા 15 કરોડ રૂપિયામાંથી હજુ પણ 8 કરોડ રૂપિયા રિકવર થયા નથી. તેમજ જે 75 લાખ રુપિયા કમિશનરે લીધા છે તે પણ પાછા મળે તે અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીને કાર્યવાહી કરવા માટે આ પત્રમાં રજૂઆત કરાઈ છે.

તમને જણાવી દઈએ કે ગોવિંદ પટેલે આક્ષેપોને ભાજપના જ સાંસદ રામ મોકરિયાએ પણ આ મંગને સમર્થન આપ્યું હતું. ત્યારબાદ મંત્રી અરવિંદ રૈયાણીએ પણ 7 ફેબ્રુઆરીના રોજ પોતે આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવાના છે તેવું જણાવ્યું હતું. હાલ ડીજીપી કક્ષાના અધિકારી વિકાસ સહાયને આ સમગ્ર મામલાની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ એક બે દિવસમાં આ મામલે રિપોર્ટ સુપ્રત કરે તેવી શક્યતા છે.