Corona VirusIndia

મજૂરો પાસેથી ભાડું તો નહીં લઈએ, સાથે 1000 રૂપિયા પણ આપીશું, જાણો કોણે કરી જાહેરાત

હાલ મજૂરો બાબતે રાજકારણ રમાઈ રહ્યું છે ત્યારે આજે સવારથી જ મોટી મોટી જાહેરાતો થઈ રહી છે.સવારે કોંગ્રેસના સોનિયા ગાંધીએ મજૂરો ના ટિકિટના પૈસા આપવાનું એલાન કર્યું ત્યારે હવે બિહાર સરકારે પરપ્રાંતિય મજૂરોના રેલ ભાડા અંગે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે સોમવારે કહ્યું કે કોઈ પણ ને પૈસા આપવાની જરૂર નથી. તમામ કામદારોને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવશે અને તે પછી તેમને એક હજાર રૂપિયા આપવામાં આવશે.

સીએમ નીતીશ કુમારે કહ્યું, ‘હું બિહારના લોકોને પાછા મોકલવાના સૂચનને ધ્યાનમાં લેવા બદલ કેન્દ્રનો આભાર માનું છું. અન્ય રાજ્યોમાં ફસાયેલા બિહારના લોકોને બિહારમાં પાછા મોકલવા બદલ કેન્દ્રનો આભાર. કોઈએ પણ ટિકિટ માટે ચૂકવણી કરવાની રહેશે નહીં. અહીં તેમના માટે ક્વોરેન્ટાઇન સેન્ટર બનાવવામાં આવ્યું છે.

સીએમ નીતીશ કુમારે કહ્યું કે, ‘બહારથી આવેલા બધા પ્રવાસી 21 દિવસ માટે ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રહેશે. આ પછી, તેમને બિહાર સરકાર દ્વારા ઓછામાં ઓછી એક હજાર રૂપિયાની રકમ આપવામાં આવશે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકારે 19 લાખ લોકોને એક હજાર રૂપિયા આપી દીધા છે.

આ અગાઉ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) નેતા તેજસ્વી યાદવે બિહાર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમે શરૂઆતમાં બિહાર સરકારને 50 ટ્રેનો આપવા તૈયાર છીએ. સરકારે આગામી દિવસમાં ટ્રેનોની વ્યવસ્થા કરવી જોઈએ, પાર્ટી તરત જ તેનું ભાડુ સરકારના ખાતામાં ટ્રાન્સફર કરશે.

તેજસ્વી યાદવે પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, ’15 વર્ષ જુની ડબલ એન્જિન સરકાર બિહારી કામદારોને પાછા નહીં લાવવાનું બહાનું શોધવાનો પ્રયાસ કરી રહી છે. 5 દિવસમાં લગભગ 3500 લોકો 3 ટ્રેનોથી પાછા ફરવા સક્ષમ છે. ક્યારેક ભાડુ, તો ક્યારેક સંસાધનો તો ક્યારેક નિયમોનું રડવું. નીતીશ સરકારનો હેતુ કામદારોને પરત લાવવાનો નથી.