ખુશીના સમાચાર: 1 ફેબ્રુઆરીથી ખૂલશે અંબાજી મંદિરના દ્વાર, જાણો ભકતો માટે શું રહેશે નવા નિયમો
દેશ અને દુનિયામાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને આ સાથે કોરોના ના નવા વેરિયંટએ દસ્તક દેતા તેના પણ કેસોમાં સતત વધારો થતા ફરી એકવાર રાજ્ય સરકાર દ્વારા કોરોના ગાઇડલાઇન જાહેર કરી હતી અને તેમાં લોકોને કડક નિયમનો અમલ કરવા સૂચના આપવામાં આવી છે, ત્યારે આ વધતા કોરોના કેસને ધ્યાનમાં રાખીને મંદિરોના સંચાલકો દ્વારા સ્વંય પાલન કરતા મંદિરોને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં શક્તિપીઠ અંબાજી મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.
જે અંબાજી મંદિર દેવ સ્થાન ટ્રસ્ટ દ્વારા આગામી 31મી જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, ત્યારે આવતી કાલે હવે તેની મુદત પુરી થવા આવી રહી છે, ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા પણ કોરોનાની નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. ત્યારે હવે નવી ગાઈડલાઈન જાહેર થયા બાદ મંદિર ફરી એક વાર ખોલવાનો મંદિરના સંચાલકો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
નવી ગાઇડલાઇન પ્રમનાએ હવે આગામી 1 ફેબ્રુઆરીથી અંબાજી મંદિર તેમના ભક્તો માટે ખૂલ્લુ મુકવામાં આવશે. જો કે, જે પણ દર્શનાર્થી આ મંદિરના દર્શન કરવા માગતો હોય તો તેણે ફરજિયાત આ માટે ઓનલાઈન બુકિંગ કરાવવાનું રહેશે. જેમાં 18 વર્ષથી ઉપરના તમામ દર્શનાર્થીઓએ ફરજિયાત ઓનલાઈન બુકિંગ કરાવવાનું રહેશે. અંબાજી મંદિર 1 ફેબ્રુઆરીથી દર્શનાર્થીઓ માટે વહેલી સવારે 7.30 વાગ્યાથી 11.30 વાગ્યા સુધી, બપોરે 12.30 વાગ્યાથી 4.15 વાગ્યા સુધી અને સાંજે 7.00 વાગ્યાથી 9.00 વાગ્યા સુધી દર્શન કરી શકશે.
અંબાજી મંદિરના દર્શન માટે ઓનલાઈન બુકિંગ કરાવવા માટેની સુવિધા કરવામાં આવી છે. અંબાજી મંદિરમાં દર્શન કરાવવા માટે દર્શનાર્થીઓએ દેવસ્થાન ટ્ર્સ્ટની ઓફીશીયલ વેબસાઈટ પરથી ઓનલાઈન બુકિંગ કરાવવાનું રહેશે. ત્યારબાદ ભકતો આ મંદિરમાં દર્શન કરી શકશે. આ માટે તમે જે દિવસે દર્શન કરવા માંગતા હોવ તે દિવસની તમારે તારીખ નક્કી કરવી પડશે, આ સાથે તમારે ટાઈમ અને સ્લોટ પણ નાખવાના રહેશે. આ ઉપરાંત ભકતોએ તેમનું નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પ્રૂફ વગેરે જેવી વિગતો પણ આપવાની રહેશે.
આ ઉપરાંત તમારે વેક્સિનના બંને ડોઝ લીધા હોય એ સર્ટિફિકેટ પણ ફરજિયાત અપલોડ કરવાનું રહેશે. અને આ બધી વિગતો ભરાઈ ગયા બાદ તમને મંદિર તરફથી ઈમેલ આઈડી પર પીડીએફ મોકલવામાં આવશે. અને આની સૉફટ કૉપી તમારે મંદિરના દર્શન કરવા આવો ત્યારે પ્રવેશ દ્વાર પર બતાવવાની રહેશે. જો કે તમે દર્શન કરવા આવો ત્યારે માસ્ક પણ ફરજિયાત પહેરવાનું રહેશે. અને આ માટે દરેક વ્યક્તિનું અલગ અલગ બુકીંગ કરાવવાનું રહેશે. આ દરમિયાન મંદિરના સ્લોટમાં દર કલાકે વધુમાં વધુ 150 ભકતો પ્રવેશ કરી શકશે. આ દરમિયાન ભકતોએ કોરોના ગાઇડલાઇનનું સખ્ત પાલન કરવાનું રહેશે.