મોરબી: લગ્નમાં થતા ખોટા ખર્ચને અટકાવવા પૂર્વ ધારાસભ્યની અનોખી પહેલ
દરેક પરિવાર પોતાના ઘરમાં આવેલ લગ્ન પ્રસંગને લઈને ઉત્સાહિત હોય છે. અને ઘણી વખત લોકો ઉત્સાહમાં ને ઉત્સાહમાં લગ્નમાં આંધળો ખર્ચો કરી ડેટ હોય છે. ત્યારે મોરબીમાં પાટીદાર સમાજ દ્વારા લગ્નમાં ખોટા ખર્ચ ના થાય તે માટે એક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પાટીદાર સમાજે મોરબીમાં છેલ્લા ઘણા સમયથી ઘડિયાંલગ્ન માટે ખાસ અભિયાન હાથ ધર્યું છે. લગ્નમાં સામાન્ય પરિવારોને ખોટા ખર્ચ ન થાય તે માટે થઈને ઘડિયા લગ્નના આયોજન કરવામાં આવે છે.
ત્યારે માજી ધારાસભ્ય દ્વારા ઘડિયા લગ્નને પ્રોત્સાહન મળે તે માટે અનોખી પહેલ કરવામાં આવી છે. માજી ધરસભ્યએ પોતાના આંગણે આવીને જે પણ પરિવાર તેમના ઘરના દીકરા કે દીકરીના ઘડિયા લગ્ન કરાવવા આવશે તે પરિવારને લગ્નની વિધિ માટેની તમામ વ્યવસ્થા તેમજ ભોજનની વ્યવસ્થા પણ તેઓ દ્વારા કરી આપવામાં આવે છે
ઉલ્લેખનીય છે કે, પાટીદાર સમાજ દ્વારા મોરબી જિલ્લામાં લગ્નમાં થતા લાખોના ખોટા ખર્ચ બંધ કરવા માટે છેલ્લા ઘણા સમયથી ઘડિયા લગ્ન કરાવવામાં આવી રહ્યા છે. પાટીદાર સમાજના આ અભિયાનથી અન્ય સમાજોએ પણ ખરેખર પ્રેરણા લેવી જોઈએ.મોરબીમાં પાટીદાર સમાજના ન માત્ર સામાન્ય પરિવાર પરંતુ ગર્ભશ્રીમંત પરિવારના લોકો પણ પોતાના દીકરા અને દીકરીના ઘડિયા લગ્ન કરી રહ્યા છે.
નોંધનીય છે કે, સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીમાં લગ્ન પ્રસંગમાં વધુ ભીડ એકત્રિત ન થાય તે માટે ઘડિયા લગ્ન ખૂબ જ આવકારદાયી છે. મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા ઘડિયાં લગ્નને પ્રોત્સાહન આપવા અને અન્ય સમાજોને પણ આ માટે પ્રેરણા અનોખી પહેલ કરવામાં આવી છે. તેમણે જાહેરાત કરી છે કે, કોઈપણ સમાજ તેમના નિવાસ સ્થાન ખાતે ઘડિયા લગ્નનું આયોજન કરી શકે છે.
ઘડિયા લગ્ન માટે જે કોઈ તેમના ત્યાં આવે તેના માટે ધાર્મિક વિધિને લગતી તમામ સામગ્રી, મંડપ તેમજ જમવા સહિતની તમામ પ્રકારની વ્યવસ્થાનો ખર્ચો મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ દ્વારા આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, આજ રોજ મોરબીમાં વસવાટ કરતા ચિરાગ દિનેશભાઇ સરડવા અને માનસીબેનના ઘડિયા લગ્ન યોજાયા હતા. ત્યારે મોરબી માળીયા પાટીદાર સમૂહલગ્ન સમિતિના આગેવાનોએ વર કન્યાને આશીર્વાદ આપ્યા હતા.