અંબાલાલ પટેલની ખતરનાક આગાહી: રાજ્યમાં આગામી 10 દિવસ સુધી…
રાજ્યમાં ભરઉનાળાની વચ્ચે ખેડૂતોને ફરી એકવાર કમોસમી વરસાદનો સામનો કરવો પડી શકે છે. હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી ટ્રફ જેવી ત્રણ સક્રિય સિસ્ટમોના કારણે હવામાન વિભાગે 4 એપ્રિલ સુધી ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગામી 10 દિવસ એટલે કે 12 એપ્રિલ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં કરા સાથે વરસાદ પડી શકે છે. તેમણે મે મહિનામાં પણ વરસાદ અને વાવાઝોડાની સંભાવના દર્શાવી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ.કે. દાસના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આંધી-તોફાન સાથે મધ્યમ વરસાદની શક્યતા છે. આગામી બે દિવસ 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બે સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સક્રિય થતા આ સ્થિતિ ઊભી થઈ છે.
અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે આગામી બે દિવસમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી 48 કલાકમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે, જેના કારણે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં 60થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને કરા પણ પડી શકે છે. તેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. ખાસ કરીને 3 એપ્રિલે પશ્ચિમ સૌરાષ્ટ્ર, દ્વારકા, જામનગર, રાજકોટ અને કચ્છમાં હવામાનમાં મોટો પલટો આવી વરસાદ પડવાની શક્યતા છે.