BjpCongressIndiaPolitics

ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી એ કહ્યું કે….”તો હું કૂવામાં કૂદી જઈશ”

કેન્દ્રીય મંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા નીતિન ગડકરી અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારના નવ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે શુક્રવારે મહારાષ્ટ્રના ભંડારામાં એક સભાને સંબોધતા નીતિન ગડકરીએ ભાજપમાં તેમના શરૂઆતના દિવસોને યાદ કર્યા અને પાર્ટીની અત્યાર સુધીની સફર વિશે વાત કરી.

આ વખતે તેમણે કહ્યું છે કે એક નેતાએ તેમને એકવાર કોંગ્રેસમાં જોડાવાની સલાહ આપી હતી, જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે તેઓ પાર્ટીના સભ્ય બનવાને બદલે કૂવામાં કૂદી પડશે. ગડકરીએ દાવો કર્યો હતો કે કોંગ્રેસ શાસનના 60 વર્ષના કાર્યકાળની સરખામણીમાં ભાજપ સરકારે છેલ્લા નવ વર્ષમાં દેશમાં બમણું કામ કર્યું છે.

તેમણે કોંગ્રેસના દિવંગત નેતા શ્રીકાંત જિચકરે આપેલી સલાહને પણ યાદ કરી. ગડકરીએ કહ્યું કે જિચકરે એકવાર મને કહ્યું હતું કે – ‘તમે પાર્ટીના ખૂબ સારા કાર્યકર અને નેતા છો. જો તમે કોંગ્રેસમાં જોડાશો તો તમારું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ હશે’, પરંતુ મેં તેમને કહ્યું કે હું કોંગ્રેસમાં જોડાવાને બદલે કૂવામાં કૂદી પડીશ, કારણ કે મને ભાજપ અને તેની વિચારધારામાં અતૂટ વિશ્વાસ છે અને હું તેના માટે કામ કરતો રહીશ.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) માટે કામ કરતી વખતે નાની ઉંમરે તેમનામાં મૂલ્યો કેળવવા બદલ ગડકરીએ સંઘની પણ પ્રશંસા કરી હતી. તેમણે કોંગ્રેસ વિશે કહ્યું કે, પાર્ટીની રચના થઈ ત્યારથી તે ઘણી વખત વિભાજિત થઈ છે. તેમણે કહ્યું, ‘આપણે આપણા દેશના લોકતંત્રના ઈતિહાસને ભૂલવો ન જોઈએ. આપણે ભવિષ્ય માટે ભૂતકાળમાંથી શીખવું જોઈએ. કોંગ્રેસે પોતાના 60 વર્ષના શાસન દરમિયાન ‘ગરીબી હટાઓ’નો નારો આપ્યો હતો, પરંતુ પોતાના અંગત ફાયદા માટે તેણે ઘણી શૈક્ષણિક સંસ્થાઓ ખોલી હતી.