GujaratRajkotSaurashtra

રાજકોટ ક્રાઇમ બ્રાંચ પર લાગેલા વસૂલીકાંડ મામલાની વચ્ચે રાજકોટના 8 પીઆઈની કરાઈ આંતરિક બદલી

રાજકોટ પોલીસ કમિશનર અને ક્રાઇમ બ્રાંચ પર લાગેલા વસૂલીકાંડ મામલો હાલ ચર્ચાનો વિષય બનેલ છે. તેને લઈને અવનવી માહિતીઓ સામે આવી રહી છે. એવામાં આજે કંઇક જ સામે આવ્યું છે. રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે વસૂલીકાંડના આરોપસર રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા ગૃહમંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો. આ લેટરબોંબને આધારે તપાસ સમિતિ રચના કરવામાં આવી હતી અને આ સમિતિ દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે.

તેમ છતાં હજુ આ તપાસમાં કોઈ રિપોર્ટ સામે આવ્યો નથી. પરંતુ આ દરમિયાન પોલીસ કમિશનર દ્વારા શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર 8 પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે. આ બદલીઓને ધારાસભ્યના લેટર બોંબ સાથે સરખાવવામાં આવી રહી છે. નોંધનીય છે કે, પોલીસ કમિશનર દ્વારા આઠ પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ જોશીને એસઓજીમાં અને કુવાડવાના પીઆઈ ચુડાસમાની રીડર શાખામાં બદલી કરવામાં આવી છે.

તેના સિવાય ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઈ વાળાને પીસીબીમાં મુકવામાં આવેલ છે જ્યારે તેમના સ્થાને ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ જે ડી ઝાલાને મુકવામાં આવેલ છે. તેની સાથે પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ચાવડાને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે. સાયબર ક્રાઈમના પીઆઈ ફર્નાન્ડીઝને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવેલ છે. મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ જનકાંતને પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. જ્યારે રિઝર્વ પીઆઈ ભાર્ગવ જનકાંતને કુવાડવા પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવેલ છે.