Gujarat

કોરોનાના કહેરને જોતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં લેવામાં આવ્યા આ મહત્વપૂર્ણ નિર્ણયો

રાજ્યમાં સતત કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. રાજયમાં છેલ્લા થોડા દિવસોથી ૬ હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે જેના કારણે સરકારની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. જેના લીધે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં કોરોનાના મુદ્દાને લઈને અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન અનેક મોટા નિર્ણય લેવામાં આવ્યા છે.

જ્યારે આ બેઠક બાદ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા કેબીનેટમાં લેવામાં આવેલ નિર્ણયો વિશે જાણકારી આપવામાં આવી હતી. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી દ્વારા કોરોનાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકાર કોરોના સામેની જંગ લડવા માટે તૈયાર છે. રાજ્ય સરકાર દ્વારા કોરોનાના સંક્રમણને રોકવા માટે જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે તેનો તાજેતરનો દાખલો વાઇબ્રન્ટ સમિટ છે તેને સરકાર દ્વારા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

રાજ્યમાં સરકાર દ્વારા લોકોની ચિંતાની ધ્યાનમાં રાખતા સરકાર દ્વારા ૧૦૦૦ નવી બસો ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી દ્વારા આ બસો ખરીદવાની મંજૂરી આપી દેવામાં આવી છે. તેની સાથે ૫૦૦ સુપર એક્સપ્રેસ બસો ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં 200 સ્લિપર કોચ બસો પણ ફાળવાશે.

આ સિવાય જીતુ વાઘાણી દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને જોડવા માટે નવો કોરિડોર બનાવાશે. તેની સાથે ભરૂચમાં નેશનલ હાઇવે 8 પર ટ્રાફિક જામની સમસ્યાને દૂર કરવા માટે વધુ એક પુલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેની સાથે એક મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે આ મામલામાં જીતુ વાઘાણી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં 1600 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો રહેલો છે તેને પ્રવાસન સ્થળની સાથે જોડવા માટે એક કોસ્ટલ હાઈવે બનાવાશે. તેના માટે 2440 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.