GujaratJamnagarSaurashtra

બિપોરજોય વાવાઝોડાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જામનગરમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસ્યો વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

બિપોરજોય વાવાઝોડાની અસર ધીરે-ધીરે દરિયાકાંઠે જોવા મળી રહી છે. એવામાં આ વાવાઝોડાને લઈને હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. એવામાં આજ સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં ફેરફાર આવ્યો છે.  રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીના કડાકા સાથે વરસાદ શરુ થઈ ગયો છે. ત્યારે આજે જામનગર જિલ્લામાં વરસાદી માહોલ બન્યો  છે. આજ સવારના માત્ર બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તેના લીધે જામનગરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

જ્યારે હવામાન વિભાગ દ્વારા કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એવામાં વેરાવળ અને સુત્રાપાડામાં પણ ભારે વરસાદ વરસ્યો છે.  છેલ્લા 24 કલાકમાં આ બન્ને વિસ્તારમાં સાડા આઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હાલમાં પણ વરસાદી માહોલ બનેલો છે. જ્યારે ખંભાળિયામાં આજે સવારના બે કલાકમાં ત્રણ ઈંચ અને ઉપલેટામાં બે ઇંચ વરસાદ વરસ્યો છે. વરસાદી માહોલ અને વાવાઝોડાને લીધે સૌરાષ્ટ્રના છ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

તેની સાથે વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છ જિલ્લામાં દેખાઈ રહી છે. કચ્છમાં ભારે પવન જોવા મળી રહ્યો છે. જ્યારે આજ સવારથી કચ્છ, ભુજ અને અંજારમાં વરસાદી માહોલ બન્યો છે. જ્યારે ગાંધીધામ અને નલિયામાં પણ વરસાદી માહોલ બન્યો છે.

આ સાથે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વર્ષ 2021 માં આવેલા આ તૌકતે વાવાઝોડાના લીધે ગુજરાતમાં 11 હજાર કરોડનું નુકસાન થયું હતું. તે સમયે મે મહિનામાં અરબી સમુદ્રમાં તૌકતે વાવાઝોડું સર્જાયું હતું અને 17 મી મેના રોજ ગુજરાતના ઉના અને વેરાવળના દરિયાકાંઠા વચ્ચે ટકરાયું હતું. તે સમયે પવનની ઝડપ કલાકના 180 કિમી સુધી રહેલી હતી. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં પવન અને વરસાદે નુકસાન થયું હતું. અંદાજીત આ વાવાઝોડામાં 45 લોકોએ જીવ ગુમાવ્યા હતા. 23 જિલ્લાઓમાં તૌક્તે વાવાઝોડાના લીધે ભારે નુકસાન થયું હતું. જ્યારે  આ વખતે પણ બિપોરજોય વાવાઝોડાથી સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, મોરબી, જૂનાગઢ અને કચ્છ વિસ્તારોમાં ભારે નુકસાન પહોંચાડે તેવી શક્યતા રહેલી છે. તૌકતે વાવાઝોડા સમયે પણ હવામાન વિભાગ દ્વારા વેરાવળ જાફરાબાદ બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું. તે   સમયે પણ અનેક બંદરો પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું.

તેની સાથે બિપોરજોય વાવાઝોડું લગભગ દસ દિવસ સુધી સમગ્ર ગુજરાત અસર રહેવાની છે. છેલ્લા થોડા દાયકાઓમાં ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકેલા વાવાઝોડા જોઈએ તો બિપોરજોય વાવાઝોડાની સૌથી વધુ લાંબા સમય સુધી અસર જોવા મળવાની છે. બિપોરજોય વાવાઝોડું કચ્છ સહિત ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં ત્રાટકે તેવી શક્યતા રહેલી છે. દરિયો તોફાની બનવાના લીધે માછીમારીને સીધી અસર થશે અને આગામી સમયમાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.