
રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરશોતમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજને લઈને કરવામાં આવેલ વિવાદિત નિવેદન બાદ તેમનો રાજપૂત સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેની સાથે ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા બેઠકો યોજી રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરવામાં આવી રહી છે. જ્યારે આ મામલામાં ભાવનગરના યુવરાજ જયવીરરાજ સિંહ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે.
ભાવનગરના જયવીરરાજ સિંહ દ્વારા રૂપાલા પર આપવામાં આવેલ નિવેદન અંગે સમાજના વડીલો દ્વારા નિર્ણય લેવામાં આવશે. તેના સિવાય કહેવામાં આવ્યું હતું કે, ‘રાજપૂત સમાજના યુવાનોનું માનવું છે કે, ભાજપમાં જે રાજપૂતો રહેલ છે તે રાજપૂત રહ્યા નથી, તે ભાજપૂત થઈ ગયા છે.’
તેની સાથે તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે, પરશોત્તમ રૂપાલા જેવા સિનિયર નેતા દ્વારા જે શબ્દો કહેવામાં આવ્યા છે તેનાથી દુઃખ પહોંચ્યું છે. તેને લઈને ગુસ્સો પણ રહેશે અને વિરોધ પણ યથાવત રહેવાનો છે. આપણા ઘરે આપણી બેટી એટલે સુરક્ષિત અને સલામત રહેતી હતી અને આપણે જમવા માટે રોટલી એટલે હતી કે, યુદ્ધ ભૂમિમાં રાજપૂતો અને મહારાજાઓ બલિદાન આપતા રહેતા હતા.
આ બાબતમાં વધુમાં તેમને જણાવ્યું કે, મેં રાજપૂત સમાજના યુવાનો સાથે આ બાબતમાં વાત કરી છે તો તેઓનું માનવું છે કે, ભાજપમાં જેટલા રાજપૂત સમાજના વ્યકિતઓ રહેલા છે તે રાજપૂત રહ્યા નથી તે ભાજપૂત થઈ ગયા છે. પહેલા ભાજપ પછી રાજપૂત તે તદ્દન ખોટી વાત રહેલ છે. સમાજ પહેલા આવવો જોઈએ પછી પક્ષ રહેવો જોઈએ.

