GujaratAhmedabad

ખેડામાં ખેતરની વાળ બાબતમાં કાકા-ભત્રીજા વચ્ચે ખેલાયો ખૂની ખેલ

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને સતત સમાચારો સામે આવતા રહે છે જ્યારે આજે આવી જ એક બાબત સામે આવી છે. ખેડા જીલ્લામાં સામાન્ય બાબતની ટકરારમાં ખૂની ખેલાયો છે. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. ખેડાના મહુધા પંથકના ચુણેલ ગામની સીમમાં ખેતરના શેઢા બાબતની વાડ કાપવા જેવી બાબતમાં ધારીયા વડે હુમલો કરવામાં આવતા એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે. જ્યારે એક મહિલાને ઈજા થઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મહુધા તાલુકાના ચુણેલ ગામે રહેનાર 65 વર્ષીય નરેન્દ્રસિંહ સોમસિહ પરમાર શનિવારના પોતાના ગામ પાસે  આવેલા ખેતરની શેઢાની વાડ કાપી રહ્યા હતા. તે સમયે હિંમતસિહ અમરસિંહ પરમાર ત્યાં આવી ગયા હતા અને ખેતરના શેઢાની વાડ કેમ કાપી રહ્યા છો, તેમ કહી નરેન્દ્રસિંહ સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. પરંતુ આ ઝઘડો વધુ ઉગ્ર બનતા હિંમતસિંહ દ્વારા ધારિયા વડે નરેન્દ્રસિંહ પર હુમલો કરી દીધો હતો. ધારિયાના ઉપરા છાપરી વારના લીધે નરેન્દ્રસિંહ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

ત્યાર બાદ આરોપી હિંમતસિંહ ત્યાંથી ભાગી ગયો હતો. આ મામલાની જાણ થતા મહુધા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. પોલીસ દ્વારા હાલમાં આરોપી સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ શરુ કરી છે. તેની સાથે જાણકારી સામે આવી છે કે, આરોપી અને મૃતક સગા કાકા ભત્રીજાનો સંબંધ છે. તેમ છતાં નરેન્દ્રસિંહની પત્ની સરોજબેન વચ્ચે ઝઘડામાં પડતા હિંમતસિંહ દ્વારા તેમને પણ માર મારવામાં આવ્યો હતો.

જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ નરેન્દ્રસિંહ સોમસિહ પરમારને તાત્કાલિક સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાં તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે તેમના પત્ની સરોજબેનને પણ ગંભીર ઈજાઓ થતા સારવાર માટે મહાગુજરાત હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. આ બાબતમાં મહુધા પોલીસ દ્વારા અલગ-અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે ખેતરના વાડ કાપવા જેવી સામાન્ય બાબત હવે હત્યામાં ફેરવાઈ ગઈ છે. જ્યારે હાલમાં આરોપી ફરાર હોવાથી તેની તપાસ પોલીસ અધિકારીઓ દ્વારા શરુ કરવામાં આવી છે.