GujaratAhmedabad

અમદાવાદ સરખેજ રોડને મળ્યું નવું શ્રી રામનું નામ, હવે ઓળખાશે ‘શ્રી રામ પથ’ના નામે

અયોધ્યામાં ભગવાન રામની 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જેમાં ભારત વાસીઓનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે હવે અમદાવાદ શહેરમાં વિવિધ રોડ શ્રીરામના રંગમાં રંગાશે. જેમાં અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોન માં આવેલા રોડ ભક્તિ રંગમાં રંગાયેલા જોવા મળશે. આ માટે અમદાવાદ મનપા દ્વારા કરવામાં આવેલ બેઠકમાં અમદાવાદના વિવિધ રોડના નામ બદલવા માટે સૂચના આપવામાં આવી છે.

અમદાવાદ મનપાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા હવે કેટલાંક રોડના નામ ભગવાન ભક્તિના નામે ઓળખવામાં આવશે. જેમાં અમદાવાદ ના કેટલાક રોડ ભગવાન રામ સાથે જોડાયેલા પાત્રોના નામ થી ઓળખવામાં આવશે. જેમાં સરખેજને શ્રી રામપથ અને વેજલપુરમાં અવધૂત માર્ગ નામાભિધાન કરાશે. તેમજ સરખેજમાં ITCC બિલ્ડીંગ ક્રોસ રોડ થી ઝવેરી સર્કલ સુધીનો માર્ગ શ્રી રામપથ તરીકે ઓળખાશે.

આ ઉપરાંત વેજલપુરમાં આવેલ વૈજનાથ મહાદેવ મંદિર થી શ્રીનંદનગર થઈ મકરબા ટર્નિંગ ક્રોસ રોડ થઈ સરખેજ દત્ત મંદિર સુધીનો માર્ગ ‘ગુરુદેવ દત્ત બ્રહ્મર્ષિ રંગ અવધૂત માર્ગ’ તરીકે ઓળખવામાં આવશે. જ્યારે જોધપુર વોર્ડમાં રામદેવનગર ચાર રસ્તા થી સાર્થક ટાવર થઈ રવિ રશ્મિ સોસાયટી ચાર રસ્તા સુધીના રસ્તાને ‘ગુરુ દેવદત્ત ધનલક્ષ્મીબેન ત્રિવેદી માર્ગ’ તરીકે ઓળખવામાં આવશે.

આ ઉપરાંત અમદાવાદમાં આવેલ ગાંધીઆશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેકટ અંતર્ગત કાર્ગો મોટર્સથી બત્રીસી ભવન સુધીનો રોડ કાયમીધોરણે 10 માર્ચ સુધીમાં બંધ કરી દેવામાં આવશે.જો કે આ માટે એક નવો વૈકિલ્પક રોડ બનાવવામાં આવ્યો છે, જે ગાંધીઆશ્રમથી રાણીપ S. T. ડેપોને જોડતો રોડ બનાવવામા આવ્યો છે. આ નવો વૈકિલ્પક રોડ ટૂંક સમયમાં લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે.