Gujarat

અમરેલી: સિંહ સાથે એવું તો શું કર્યું કે 3 લોકોની થઇ ધરપકડ, જાણો

અમરેલી જિલ્લાના એક ગામમાં સિંહને હેરાન કરવાના આરોપમાં બુધવારે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે માહિતી આપતા વન વિભાગના અધિકારીએ જણાવ્યું કે આ ત્રણ યુવાનો સિંહને પરેશાન કરતા અને તેને તેના શિકારથી દૂર ભગાડતા જોવા મળ્યા હતા. રાજ્યના વન વિભાગના શેત્રુંજી વન્યજીવ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે ત્રણ આરોપીઓમાંથી બે ગુજરાત બહારના છે.

ત્રણેય આરોપીઓએ મંગળવારે સિંહની હેરાનગતિનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. ધીરે ધીરે તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. વીડિયોમાં કારમાં બેઠેલા કેટલાક લોકો સિંહનો પીછો કરતા જોઈ શકાય છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સિંહની હેરાનગતિનો આ વીડિયો મંગળવારે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામમાં બનાવવામાં આવ્યો હતો.

વન વિભાગના જણાવ્યા અનુસાર સિંહ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ શેડ્યૂલ-1 હેઠળ આવે છે અને તેની સાથે આવી પ્રવૃત્તિઓ કરવી કાયદા દ્વારા પ્રતિબંધિત છે. વન વિભાગે ઘટનાના સંબંધમાં બુધવારે ગીર સોમનાથ જિલ્લાના મનોજ વંશ (30), આસામના વતની રાણા કલિતા (30) અને અન્ય એક આરોપીની બુધવારે ધરપકડ કરી હતી. ત્રીજો આરોપી ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને તેની ઉંમર 18 વર્ષ છે. વન વિભાગે કહ્યું કે ત્રણેય આરોપીઓ સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.