દેશના 28 રાજ્યોમાં જેટલા મોત થયા એટલા મોત એકલા ગુજરાતમાં થયા, પોઝિટિવ કેસ પણ 22 રાજ્યોના ટોટલ કેસ કરતા વધારે
દેશમાં કોરોના ના કેસ દિવસે ને દિવસે વધી રહયા છે ત્યારે હવે ગુજરાત અન્ય રાજ્યોની સાઈડ કાપી રહ્યું છે.દેશમાં મહારષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાયા છે પણ હવે ગુજરાત પણ મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું હોય તેવું દેખાય છે. કોરોના ના કુલ કેસ અને મોતનો આંકડો જોઈએ તો ગુજરાત રાજ્ય દેશમાં બીજા ક્રમે આવે છે. પણ ચોંકાવનારી વાત એ છે કે દેશના બિહાર,યુપી, પંજાબ સહિતના 28 રાજ્યોના કુલ મોતનો આંકડો પણ ગુજરાતમાં થયેલ મોતના આંકડા કરતા ઓછો છે. એટલે કે 28 રાજ્યોમાં થયેલ કુલ મોત જેટલા મોત એકલા ગુજરાતમાં થયા છે.
28 રાજ્યોમાં સોમવારે સાંજ સુધીમાં 308 મોત નોંધાયા હતા.એની સામે ગુજરાતમાં 319 મોત થઈ ચૂક્યા છે. પોઝિટિવ કેસની વાત કરીએ ત્યાં પણગુજરાત પાછળ નથી. દેશના 22 રાજ્યોના કુલ પોઝિટિવ કેસ કરતા વધુ કેસ એકલા ગુજરાત રાજ્યમાં છે 22 રાજ્યોમાં અત્યાર સુધીમાં 5610 કેસ થયા છે. એની સામે ગુજરાતમાં 5804 કેસ થઈ ચૂક્યા છે.
ગુજરાતમાં કેસની સંખ્યા બેફામ રીતે વધી રહી છે છતાં સરકાર કહે છે કે સ્થિતિ કંટ્રોલમાં છે. ગુજરાતમાં કોરોના નું એપિસેન્ટર કહેવાય એવાઅમદાવાદના મ્યુનિ. કમિશનર વિજય નહેરા તો દાવો કરે છે કે અમદાવાદમાં રિકવરી રેટ વધ્યો છે. એક્ટિવ કેસ ઓછા થઈ રહ્યા છે પણ હકીકત અલગ જ લાગી રહી છે કેમ કે અમદાવદમાં દરરોજ 200 થી 250 જેટલા કેસ આવી રહ્યા છે છેલ્લા કેટલાક દિવસથી એકલા અમદાવાદમાં દરરોજ 20 જેટલા લોકોના મોત થઇ રહયા છે.
ગઈકાલે રાજ્યમાં 376 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા અને 29 લોકોના મોત થયા હતા. છેલ્લા 100 કલાકમાં રાજ્યમાં 100 લોકોના મોત થઈ ચૂક્યા છે. અમદાવાદમાં પોઝિટિવ કેસની સંખ્યા 4000ને પાર થઈ ચૂકી છે અને મોતની સંખ્યા 234 પર પહોંચી છે.
AMCના અધિકારીના જણાવ્યા મુજબ અમદાવાદમાં 180 મોતમાંથી માત્ર 7 દર્દીઓ જ તેવા હતા જે હોસ્પિટલમાં 10 અથવા અથવા વધુ દિવસ જીવતા રહ્યા હોય. એટલે કે મોટાભાગના દર્દીઓ હોસ્પિટલ આવ્યા બાદ ગણતરીના દિવસમાં જ મૃત્યુ પામ્યા હતા.