SaurashtraGujaratRajkot

રાજકોટના જેતપુર પીઠડીયા ટોલનાકા પર કારચાલક સહિત ત્રણ લોકોની દાદાગીરી, ટોલકર્મીઓને માર માર્યો

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે. એવામાં આજે આવી જ એક બાબત સામે આવી છે. રાજ્યના રાજકોટના જેતપુર પીઠડીયા ટોલનાકા પર કારચાલક દ્વારા દાદાગીરી કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. પોલીસની પ્લેટ રાખેલી કારમાંથી 4 થી 5 આરોપીઓ દ્વારા દાદાગીરી કરવામાં આવી હતી. તેની સાથે કાર ચાલક સહિત અન્ય શખ્સો દ્વારા જાહેરમાં ટોલનાકાના કર્મચારીને ધોધમાર માર મારવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, રાજકોટના જેતપુરના પીઠડીયા ટોલનાકા પર કારચાલકને એમ્બ્યુલન્સને રસ્તો આપવાનું કહેવામાં આવતા કારચાલકને ગુસ્સો આવી ગયો હતો. તેના લીધે મામલો વધુ ગરમાયો હતો. ત્યાર બાદ પીઠડીયા ટોલનાકા પર લેનમાં કાર ચાલક સહિત અંદર બેઠેલા ચાર આરોપીઓ દ્વારા કર્મચારીને માર મારવામાં આવ્યો હતો. જ્યારે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

તેની સાથે આ મામલામાં ટોલટેક્સના સંચાલકો દ્વારા પોલીસમાં લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જ્યારે ઈજાગ્રસ્ત કર્મચારીઓને સારવાર અર્થે નજીક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. જ્યારે પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાના આધારે આ મામલામાં તપાસ હાથ ધરી છે.