GujaratMadhya Gujarat

કચ્છના રાપરમાં પત્નીને પતિને કામે જવાનું કહેવું પડ્યું ભારે, ૧૮ છરીના ઘા ઝીંકી પત્ની કરી નાખી હત્યા

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરતા રહે છે. જ્યારે આજે આવો જ એક મામલો સામે આવ્યો છે. રાપર તાલુકાના ભીમાસર ભુટકિયામાં રવિવારના પત્ની દ્વારા પતિને કામ ઉપર જવાનું કહેવામાં બાબતમાં ઝઘડો થયો હતો. તેના લીધે ઉશ્કેરાઈને પતિ દ્વારા પોતાની પત્નીને છરીના 18 ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. આ મામલામાં પતિને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. તેની સાથે આ ઘટનામાં બે માસૂમ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે.

તમને જણાવી દઈએ કે, મુળ પલાંસવાના અને હાલમાં રાપરના ગેલીવાડીમાં રહેનાર મૃતકના માતા ગૌરીબેન ગેલાભાઇ મકવાણા દ્વારા આ મામલામાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેમની 32 વર્ષિય દિકરી ગીતાના ભુટકીયા રહેનાર મહેશ સુજાભાઈ બાયડ (રાજપૂત) સાથે દસેક વર્ષ અગાઉ લગ્ન થયા હતા. સંતાનમાં 6 અને 4 વર્ષના બે પુત્રો રહેલા છે. મહેશ કડિયાકામ સેન્ટ્રીંગને લગતું છૂટક મંજુરી કામ કરતો હતો. તેની સાથે ગીતાના પતિ દારૂ પીને અવારનવાર પત્ની સાથે મારઝૂટ કરતો હતો. એવામાં રવિવાર બપોરે કામ પર જવા બાબતમાં દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાઈને મહેશ દ્વારા છરી વડે ગીતાના પેટ, પીઠ, બગલ, પગ, માથા સહિતના અંગોમાં છરીના 18 ઘા ઝીંકી પત્નીને મોતને ઘાટ ઉતારી નાખી હતી.

ઘટનાની જાણકારી મળતા મૃતકના માતા સહિતના પરિવારજનો ભુટકીયા દોડી આવ્યા હતા અને દીકરીના મૃતદેહને પીએમ અર્થે પલાંસવા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેમના દ્વારા ગીતાના પતિ મહેશ સામે હત્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આડેસર પોલીસ દ્વારા તેમની ફરિયાદના આધારે મહેશ વિરુધ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેની સાથે તેને રાઉન્ડ અપ કરી લીધો હતો. પતિ અને પત્નીના ઝઘડામાં બે માસૂમ બાળકોને માવતરની છત્રછાયા ગૂમાવવાનો વારો આવેલ છે. પોલીસ દ્વારા હત્યામાં વપરાયેલ હથીયાર જપ્ત કરી આ મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.