અમદાવાદ: શું વેપારીઓની જેમ ભિક્ષુકોએ પણ આપવો પડે છે હપ્તો?
તમે વેપારીઓ પાસેથી કે મોટા બિલ્ડરો પાસેથી હપ્તો ઉઘરાણી કરવાના ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા અને જોયા હશે. પરંતુ શું તમે ક્યારેય ભિક્ષુક પાસેથી હપ્તાની ઉઘરાણી થતી હોવાનું ક્યારેય સાંભળ્યું છે? અમદાવાદમાં ભિક્ષુક પાસેથી હપ્તો ઉઘરાવવાની એક અનોખી ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં સૌકત અલી અંસારી નામનો એક શખ્શ ભિક્ષુક પાસેથી હપ્તો ઉઘરાવતો હોવાની ઘટના સામે આવી છે. અને ભિક્ષુકે હપ્તો આપવાની ના પડતા તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. ત્યારે આ ઘટનાને લઈને દાણીલીમડા પોલીસે ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી છે.
પોલીસ ફરિયાદ અનુસાર, સૌકત અલી અંસારીએ દાણીલીમડા વિસ્તારમાં એક ભિક્ષુક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. ત્યારે પોલીસને આ વાતની જાણ થતા પોલીસે સૌકત અલી અંસારીની ફરિયાદ નોંધીને ધરપકડ કરી હતી. ત્યારે પોલીસે સૌકતની વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપીએ જે ભિક્ષુક પર હુમલો કર્યો હતો તેની પાસેથી રોજના 200 રૂપિયા હપ્તો ઉઘરાવતો હતો.
હપ્તો ઉઘરાવવાની આ પ્રવૃત્તિ છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહી હતી. પરંતુ ગઈ કાલે ભિક્ષુક પાસે પૈસા ના હોવાથી હપ્તો આપવાની ના પાડી હતી. ત્યારે આરોપીએ ભિક્ષુક પર હુમલો કર્યો હતો. હાલ સમગ્ર મામલે દાણીલીમડા પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તમને જણાવી દઈએ કે, અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં ભિક્ષુક પાસેથી હપ્તો ઉઘરાવવાની ઘટનાને લઈને પોલીસને હવે શંકા છે માત્ર એક નહિ પણ અનેક ભિક્ષુકો પાસેથી પણ આ રીતે હપ્તો ઉઘરાવવાની પ્રવૃત્તિ ચાલતી હોઈ શકે છે. ત્યારે પોલીસે હવે એ દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે.