અમદાવાદમાં કોરોનાના કહેર પર વાગ્યો બ્રેક, 24 કલાકમાં નોંધાયા આટલા કેસ
ગુજરાતમાં સતત કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો હતો પરંતુ આજે રાહત પહોંચાડનાર સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં સતત આવી રહેલા 20 હજારથી વધુ કેસમાં આજે બ્રેક લાગ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે 16,617 કેસ સામે આવ્યા છે. એવામાં કોરોનાના કહેરની વચ્ચે અમદાવાદથી પણ રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં પણ આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે.
અમદાવાદમાં કોરોનાના કહેરની વાત કરીએ તો અમદાવાદમાં સતત નવ હજારથી વધુ કેસ સામે આવી રહ્યા હતા તેના પર બ્રેક વાગી ગયો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 6191 કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં આજે ૮૬ કેસ સામે આવ્યા છે. તેના લીધે શહેર અને જિલ્લામાં મળીને કુલ 6277 કેસ સામે આવ્યા છે.
અમદાવાદમાં કોરોનાના કેસ ઘટવાની સાથે આજે શહેરમાં 3232 અને જિલ્લામાં 82 દર્દીઓ સારવાર દરમિયાન સાજા થયા છે. આ સિવાય શહેરમાં છેલ્લા 24 કલાકમાં 6 દર્દીના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. જ્યારે ગુજરાતમાં આજે ૧૯ દર્દીનો મોત નીપજ્યા છે.અમદાવાદમાં કોરોનાના કહેરની વચ્ચે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ઘટાડો વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં આજે 11 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન દૂર થયા છે તેની સાથે 16 ઝોનનો આજે ઉમેરો થયો છે. તેના લીધે માઈક્રો કન્ટેનમેન્ટ નો આંકડો 186 પહોંચ્યો છે.
નોંધનીય છે કે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 16,617 કેસ સામે આવ્યા છે. તેની સાથે બીજી પણ રાહતની વાત એ પણ છે કે, આજે 11,636 દર્દીઓ સારવાર દરમિયાન સાજા પણ થયા છે. જ્યારે અત્યાર સુધી કોરોનાથી સાજા થવાનો આંકડો 9,17,469 પહોંચી ગયો છે. આ સિવાય આજે કોરોનાથી 19 દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 6, વલસાડમાં 3, સુરત શહેર-સુરત ગ્રામ્ય અને બનાસકાંઠામાં 2-2, ભાવનગર, નવસારી, મહેસાણા અને દાહોદમાં 1-1 દર્દીનું મોત થયું છે.