![](/wp-content/uploads/2023/08/After-the-murder-of-an-elderly-mother-in-Ahmedabad-the-son-tried-to-commit-suicide-by-drinking-acid.jpg)
અમદાવાદના બાપુનગર વિસ્તારની એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં જન્મ આપનાર જનેતાને જ દીકરાએ મોતને ઘાટ ઉતારી નાખી હોવાનું સામે આવ્યું છે. દીકરા દ્વારા બોથડ પદાર્થ મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. ત્યાર બાદ પુત્રએ પણ એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલમાં પુત્રને નજીક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો છે.
અમદાવાદના બાપુનગર વિસ્તારના ભગતિનગરના નેડીયામાં રહેનાર 47 વર્ષીય વિનોદ પરમારના નામના વ્યક્તિ દ્વારા પોતાની વૃદ્ધ માતાને બોથડ પદાર્થ મારીને મોતને ઘાટ ઉતારી નાખવામાં આવ્યા હતી. ત્યાર બાદ હત્યારા પુત્ર દ્વારા એસીડ પીને આપઘાત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ઘટના અંગેની જાણકારી મળતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી આ મામલામાં તપાસ હાથ ધરી છે. મૃતક જીવી બહેન પરમારનો મૃતદેહ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. જ્યારે એસીડ પી લેનાર વિનોદ પરમારને સારવાર માટે નજીક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, બાપુનગરના ભગતિનગરના નેડીયામાં વૃદ્ધા અને તેનો દીકરો સાથે રહી રહ્યા હતા. જેમાં માતા છુટક મજુરી કરીને પોતાનું જીવન પસાર કરતી હતી. એવામાં સાંજે વૃદ્ધાનો દીકરો દારુ પીને આવ્યો હતો અને તેની માતા સાથે તેને ઝઘડો શરુ કરી દીધો હતો. મકાન પોતાના નામે કરી દેવાની વાતને લઈને બંને વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી અને વિનોદ પરમાર દ્વારા તેની માતા જીવી બેનને બોથડ પદાર્થ મારતા વૃદ્ધ માતાનું મોત નીપજ્યું હતું. ત્યાર બાદ આરોપી વિનોદ પરમાર દ્વારા ઘરમાં રહેલું એસિડ પી લેવામાં આવતા તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. આ બનાવમાં બાપુનગર પોલીસ દ્વારા વિનોદ સામે અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વિનોદ પરમારની સારવાર થયા બાદ તેના વિરુદ્ધ હત્યાના ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવશે.