પુરૂષોતમ રૂપાલાના વિરોધમાં ભાવનગરનું આ ગામ રહ્યું સજ્જડ બંધ
![](/wp-content/uploads/2024/04/This-village-of-Bhavnagar-remained-closed-in-protest-against-Purushotham-Rupala.jpg)
રાજકોટ ભાજપ ઉમેદવાર પુરૂષોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની મહિલા પર કરવામાં આવેલ વિવાદિત નિવેદનને લઈને તેમનો સતત ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે ક્ષત્રિય સમાજનું પાર્ટ-૨ આંદોલન શરુ કરાયું છે. એવામાં ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સોનગઢ ગામમાં ક્ષત્રિય સમાજના લોકોની આગેવાનીમાં વેપાર-ધંધા બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં તમામ સમાજના લોકો દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું અને સમગ્ર દિવસ સોનગઢ ગામ સજ્જડ બંધ રહેલ હતું. રૂપાલા અને ભાજપના વિરોધમાં બંધની જાહેરાત કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સોનગઢ ગામમાં ગુરૂવારના ક્ષત્રિય સમાજના લોકોની આગેવાનીમાં પુરૂષોતમ રૂપાલા અને ભાજપના વિરોધમાં ગામ બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો હતો. ક્ષત્રિય સમાજના લોકોને અન્યસમાજના લોકો દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું અને વેપાર-ધંધા બંધ રખાયા હતાં. સોનગઢ ગામ સમગ્ર દિવસ સજ્જડ બંધ રહ્યું હતું અને વિરોધ દેખાડવામાં આવ્યો હતો. સોનગઢ ગામના લોકો એકઠા થયા હતા અને રૂપાલાના વિરોધમાં સુત્રોચ્ચાર પણ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂષોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈને વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી. તેના લીધે ક્ષત્રિય સમાજના લોકોમાં રોષ યથાવત રહેલો છે. આ રોષ દિવસેને દિવસે સતત ઉગ્ર બની રહ્યો છે. એવામાં હવે ક્ષત્રિય સમાજના લોકો દ્વારા ભાજપનો પણ વિરોધ શરુ કરવામાં આવ્યો છે.