ગુજરાતમાં ગંભીર સ્થિતિ: એકલા અમદાવાદમાં જ 77 કેસ, રાજ્યમાં કુલ 165 કેસ
ગુજરાતમાં હવે કોરોના ના કેસ દરરોજ વધી રહયા છે. કોરોના નું હોટસ્પોટ બનેલા અમદાવાદમાં તો દરરોજના 15 થી 20 નવા કેસ સામે આવી રહયા છે ત્યારે હવે તંત્રની ચિંતા પણ વધી છે. હવે તંત્ર દ્વારા ફરીથી લોકોનો સર્વે કરવાનું શરુ કરવામાં આવ્યું છે જેમાં ગામડાઓમાં બીજા રાજ્ય અને બીજા જિલ્લામાંથી આવેલા લોકો પર પણ ધ્યાન આપવામાં આવશે.
રાજ્યમાં કોરોના હવે બેકાબૂ બની રહ્યો છે. અમદાવાદમાં 77 પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે. કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી AMC એક એપ્રિલથી કોર્પોરેશનની હદમાં નોંધાયેલા દર્દીઓના નામ જાહેર કરવા લાગી છે.અમદાવાદમાં આજે 14 નવા કેસ નોંધાયા છે. તેમાં જુહાપુરા વિસ્તારમાં ના 6 કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં કેસ નું પ્રમાણ વધતા હવે તંત્ર દ્વારા દર્દીઓંના નામ સાથેનું લિસ્ટ મુકવામાં આવે છે જેથી તેમને મળેલા લોકો તરત ટેસ્ટ કરાવી શકે.
ગુજરાતમાં આવેલા વિદેશી પ્રવાસીઓનો ક્વોરન્ટીન પિરિયડ પૂરો થઇ ગયો છે છતાં કેસ વધી રહ્યા છે. બીજા રાજ્યમાંથી આવેલા તેમજ જિલ્લાઓમાંથી આવેલા લોકોનો અલગથી ટેસ્ટ કરવામાં આવશે.આ સર્વેમાં તંત્ર ઘરે ઘરે જઈને તપાસ કરે એ પહેલા જે તે વ્યક્તિ કે જેને કોઈ હેલ્થ પ્રોબ્લેમ હોય તેઓ સામેથી 104માં ફોન કરીને સારવાર માટે કહી શકે છે જેથી સેલ્ફ રિપોર્ટિંગ પણ કરવામાં આવશે.
આ ઉપરાંત લોકલ ટ્રાન્સમિશનને પગલે શહેરના 8 વિસ્તારોને ક્વોરન્ટીન કરાયા છે. અમદાવાદના આંબાવાડી, બાપુનગર, દરિયાપુર, દાણીલીમડા સહિત 8 વિસ્તારને ક્લસ્ટર કન્ટેન્મેન્ટ કરી દેવાયા છે અને પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.જેના પગલે અમુક વિસ્તારમાં લોકોએ વિરોધ પણ કર્યો હતો. ક્લસ્ટર એટલે કે તે વિસ્તાર ને સંપૂર્ણ રીતે લોકડાઉન કરવામાં આવે છે.