AhmedabadGujarat

અપહરણ કરીને સગીરા સાથે કરાયું એવું કૃત્ય કે તમે પણ ચોંકી ઉઠશો

આજના જમાનામાં દુનિયા એક બાજુ વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ક્યાંયથી ક્યાંય પહોંચી ગઈ છે. પરંતુ બીજી બાજુ જોઈએ તો હજુ પણ કેટલાક લોકો અંધશ્રદ્ધામાંથી બહાર આવતા નથી. છોટાઉદેપુર જિલ્લામાં તાંત્રિક વિધિ કરવા માટે એક સગીરાનું ગામની જ મહિલા સહિત અન્ય લોકોએ મળીને અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે. હાલ તો આ કેસમાં 10 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

છોટાઉદેપુરના કવાંટ પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ પ્રમાણે, નસવાડી તાલુકામાં આવેલ કુટબી નામના ગામે એક સગીરાને તેના જ ગામની મહિલા અને એક યુવક પટાવી ફોસલાવીને બાઇક પર બેસાડીને નસવાડી તાલુકાના તણખલા નામના ગામ ખાતે લઈ ગયા હતા. જ્યાં પહેલેથી જ બીજા લોકો પણ ઉપસ્થિત હતા. જે પછી બે મહારાજ બીજા દિવસે ત્યાં આવ્યા અને તેમણે સગીરાને નિર્વસ્ત્ર કરીને તેને એક કુંડાળામાં ઊભી રાખી તેમજ તેના બંને પગમાં નારિયેળ બાંધ્યા હતા. અને તેના કપાળ ઉપર કંકુ લગાવીને મંત્રોચ્ચાર કરીને તાંત્રિક વિધિ શરૂ કરી હતી. મંત્રોચ્ચાર દરમિયાન સગીરાને હિચકી આવી જતા વિધિ અટકાવાઈ હતી. માટે ફરી આવું ના થાય તેથી મહારાજે કોઈ પ્રવાહી પીવડાવીને સગીરાને બેભાન કરી હતી. સગીરા ભાનમાં આવી ત્યારે મહારાજે કહ્યું હતું કે, મંત્ર બોલવાનું છોકરી ચૂકી ગઈ હોવાથી તેને ફરી 15 દિવસ પછી લઈને આવજો. જે પછી ગામની મહિલા અને યુવક કે જેઓ સગીરાને પટાવીને લઈ ગયા હતા તેઓ જ સગીરાને ઘરે પરત લઈ આવ્યા હતા.

નોંધનીય છે કે, સગીરા ગજ્જરે આવ્યા પછી ગુમસુમ રહેતા તેના ઘરના સભ્યોએ તેની સાથે પૂછપરછ કરતાં સગીરાએ પોતાની સાથે થયેલ સમગ્ર હકીકત પરિવારને જણાવી હતી. તેથી સગીરાની માતાએ કવાંટ પોલીસ મથકમાં આ મામલે 10 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.