IndiaNews

જમ્મુઃ રાજૌરીમાં એન્કાઉન્ટર દરમિયાન આર્મી મેજર શહીદ, 2 થી 3 આતંકીઓ છુપાયા હોવાના સમાચાર

જમ્મુના રાજૌરીમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાના એક મેજરના શહીદ થયાના સમાચાર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સેનાના બે જવાન પણ શહીદ થયા છે. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર કર્યો છે. તે જંગલ વિસ્તાર હોવાને કારણે સુરક્ષા દળોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરક્ષા દળોને રાજૌરીના કાલાકોટ પોલીસ સ્ટેશન હેઠળના બાજી ગામના જંગલોમાં બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાના ઈનપુટ મળ્યા હતા. આ ઇનપુટના આધારે ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કરી દીધો, ત્યારબાદ તે વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું.

આ ઓપરેશનમાં સુરક્ષા દળો ડ્રોન અને હેલિકોપ્ટરની મદદથી વિસ્તારમાં આતંકીઓ પર નજર રાખી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે જંગલ વિસ્તાર હોવાને કારણે સુરક્ષા દળો માટે આ એક મોટો પડકાર છે. બંને તરફથી ગોળીબાર થઈ રહ્યો છે. ત્રણ દિવસ પહેલા રાજૌરીના બુધલ ગામમાં સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો, ત્યારપછી સતત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું.