AhmedabadGujarat

વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનો તાગ મેળવવા સીએમ ભુપેન્દ્રભાઈ પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક

ગુરુવારે રાત્રે ગુજરાતના દરિયાકાંઠે ‘બિપોરજોય’ વાવાઝોડું ટકરાયા પછી શુક્રવારે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ પ્રભાવિત જિલ્લાઓની પરિસ્થિતિનો તાગ મેળવવા સીધા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચ્યા હતા. રાહત કમિશનર આલોક પાંડેએ આ બેઠક અંગે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વાવાઝોડાને લઈને કરેલા આગોતરા આયોજન, મુખ્યમંત્રી દ્વારા મળેલ સતત માર્ગદર્શન અને સૌ લોકો ના સહિયારા પ્રયાસોથી ગુજરાતમાં વાવાઝોડાથી મોટી જાનહાનિ થતા ટળી છે. વાવાઝોડાના કારણે રાજ્યમાં અત્યાર સુધી એક પણ માનવ મૃત્યુ નોંધાયું નથી. રાજ્ય સરકારે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 1 લાખથી પણ વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.

વધુમાં રાહત કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે, બેઠકમાં ઉપસ્થિત જુદા જુદા વિભાગોના ઉચ્ચ અધિકારીઓ પાસેથી મુખ્યમંત્રીશ્રીએ જિલ્લાવાર સ્થિતિની વિગતવાર માહિતી મેળવી હતી. વાવાઝોડાના કારણે અસરગ્રસ્ત જિલ્લાઓમાં પાણી,વીજળી, કમ્યુનિકેશન સિસ્ટમ તેમજ રોડ રસ્તાને વેહલમાં વહેલી તકે પૂર્વવત કરવા સહિતની સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત પ્રાથમિક નુકસાનીનો અંદાજ મેળવવા માટે અસરગ્રસ્ત લોકો માટે કેશડોલ, ઝૂંપડા અને પશુ સહાય, ઘરવખરી જેવી વ્યવસ્થાઓ કરવા માટે પણ ઉચ્ચ અધિકારીઓને મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં બિપોરજોય ચક્રવાતના 1137 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે. જેના કારણે 263 જેટલા માર્ગ બંધ થયા હતા. જે તમામ ધરાશાયી થયેલા વૃક્ષોને હટાવીને 260 જેટલા માર્ગ પુનઃ કાર્યરત કરાયા છે, જ્યારે 3 રસ્તામાં ભારે નુકશાન થયું હોવાના કારણે તેને પૂર્વવત કરવાની કામગીરી હાલ તંત્ર દ્વારા ચાલી રહી છે. તો અસરગ્રસ્ત જિલ્લાઓમાં ભારે પવનને કારણે 5120 જેટલા વીજ થાંભલાઓ પડી જવામાં કારણે 4600 કરતા પણ વધારે ગામમાં વીજળી ઠપ્પ થઈ ગઈ હતી. જેમાં 3580 જેટલા ગામોમાં તાત્કાલિક કામગીરી કરીને વીજળી પુનઃ સ્થાપિત કરવામાં આવી છે