AhmedabadGujarat

બિપોરજોય વાવાઝોડું : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યના આ વિસ્તારોમાં બનશે વરસાદી માહોલ

બિપોરજોય વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલની આગાહી અનુસાર બિપોરજોય વાવાઝોડું છેલ્લા 24 કલાકમાં પ્રચંડ રૂપ ધારણ કરી શકે છે. તેને લઈને 11 થી 14 જૂન સુધી સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવવાની શક્યતા રહેલી છે. તેની સાથે દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની પણ શક્યતા છે. દરિયા કાંઠે 70 થી 90 કિમીની ઝડપે આ સાથે પવન ફૂંકાશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બિપોરજોય વાવાઝોડું છેલ્લા 24 કલાકમાં પ્રચંડ સ્વરૂપ ધારણ કરી લેશે. તેને લઈને હવે પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન અને પાકિસ્તાનમાં ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે મધ્ય ગુજરાતમાં 40 કિમીથી વધુની સ્પીડે પવન ફૂંકાવાની શક્યતા છે જ્યારે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠામાં પણ ભારે પવન ફૂંકાઈ શકે છે.

આ સિવાય અમદાવાદના હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આજે અમરેલી, ગીર સોમનાથ, સુરત, વલસાડ, નવસારી અને અમદાવાદમાં વરસાદની શક્યતા રહેલી છે. આ વિસ્તારોમાં આજે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી થઈ શકે છે. જ્યારે આવતીકાલથી પવનની ગતિમાં પણ વધારો જોવા મળશે.

આ વાવાઝોડાની અસર લીધે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ બનશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. રાજ્યમાં થંડરસ્ટ્રોમાં એક્ટિવિટીની અસર પણ જોવા મળશે જ્યારે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં વરસાદી વાતાવરણથી તાપમાન 2 ડિગ્રી જેટલો ઘટાડો જોવા મળશે.