AhmedabadGujarat

બકરી સાથે અકસ્માત થતા માલિકે વાહન ચાલકની કરી નાખી હત્યા

ગુજરાતમાં હત્યાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં એક વાહન ચાલકનું બકરી સાથે અકસ્માત થતા બકરીના માલિક સાહિત તેના ભાઈ અને પિતાએ મળીએ વાહન ચાલકની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તાર ખાતે આવેલ સૈજપુર બોઘામાં વસવાટ કરતો જગદીશ ચુનારા નામનો એક યુવક રાત્રિ દરમિયાન તેની એક્ટિવા પર જઈ રહ્યો હતો. તે દરમિયાન સૈજપુર ભઠ્ઠામાં આવેલ રાધેશ્યામ ચાલીની અંદર એક્ટિવા ચલાવતી વખતે અચાનક જ જગદીશની મ એક્ટિવા આગળ બકરી આવી જતા બકરીને ટક્કર વાગી હતી અને તેને ઇજા પહોંચી હતી. જેથી આ ઘટનામાં આરોપી એવા બકરીના માલિક હિતેશ ચુનારા, તેના પિતા દશરથ ચુનારા તેમજ તેના ભાઈઓ ઘરમાંથીથી બહાર નીકળીને વાહન ચાલક જગદીશ ચુનારા સાથે ઉગ્ર બોલાચાલી કરીને ઝઘડો કર્યો અને બાદમાં આરોપીઓએ ગુસ્સામાં આવીને લાકડીઓ તેમજ લોખંડની પાઇપોથી જગદીશ ચુનારા પર જીવલેણ હુમલો કરી દીધો હતો. જેથી જગદીશ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈને જમીન પર ઢળી પડ્યો હતો. તેથી તેને તાત્કાલિક અસરથી સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે જગદીશને મૃત જાહેર કર્યો હતો.

તમને જણાવી દઈએ કે, હાલ તો કૃષ્ણનગર પોલીસે આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધીને એક આરોપી એવા બકરીના માલિક હિતેષ ચુનારાની ધરપકડ કરી છે. અને આગળ વધુ કાર્યવાહી હાથ ધરી છે.