રાજ્યમાં કોરોના નો કહેર: આજે 10 નવા કેસ સાથે રાજ્યમાં કુલ 105 કેસ, અમદાવાદમાં સૌથી વધુ 43 કેસ
ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે.આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આજે જણાવ્યું કે, રાજ્યમાં આજે 10 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. બે ગાંધીનગર, બે ભાવનગર, એક પાટણ અને પાંચ કેસ અમદાવાદમાં નોંધાયા છે.તમામ કેસો લોકલ ટ્રાન્સમિશનના છે. જણાવી દઈએ કે રાજ્યમાં કુલ 105 પોઝિટિવ કેસો થઇ ગયા છે.
આજે કોરોનાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. રાજ્યમાં કુલ મૃત્યાંક 9 પર પહોંચ્યો છે. મહત્વની વાત એ છે કે રાજ્યમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ અમદાવાદમાં સામે આવી રહયા છે. અમદાવાદમાં કોરોના ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયું છે. શહેરના અનેક વિસ્તારોને ક્વૉરન્ટીન કરવામાં આવી રહ્યાં છે. લોકડાઉનનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
અમદાવાદમાં આજે વધુ 5 પોઝિટિવ કેસ નોંધાતા શહેરમાં કુલ કેસનો આંકડો 43 થયો છે. અમદાવાદના 5 કેસમાં 2 બાપુનગર, 1 જમાલપુર, 1 નવરંગપુરા અને 1 આંબાવાડી હીરાબાગના છે. ગઈકાલે એક જ પરિવારના 4 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેમાં 7 વર્ષની બાળકી પણ સામેલ છે.હાલ તમામ સારવાર હેઠળ છે. અમદાવાદમાં વધતા કેસને લઈને તંત્ર પણ ચિંતામાં છે.લોકોને કામ વગર બહાર ન નીકળવાની પણ સૂચના અપાઈ છે.