ગુજરાતની સ્થિતિ ગંભીર: 24 કલાકમાં 226 કેસ સાથે રાજ્યમાં કુલ 3774 કેસ, 181 મોત, એકલા અમદાવાદમાં જ 2543 કેસ
દેશભરમાં કોરોના એ હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાતમાં પણ સ્થિતિ હવે ગંભીર બની ચુકી છે.લોકડાઉન, કર્ફ્યુ, હોટસ્પોટ બધું જ કર્યા પછી પણ ગુજરાતના અમુક શહેરોમાં કેસની સંખ્યા વધી રહી છે. ગુજરાતમાં લૉકડાઉન ના બીજા તબક્કામાં કેસની સંખ્યામાં 500 ટકાનો વધારો થયો છે. ગઈકાલની સ્થિતિ મુજબ રાજ્યમાં 226 કેસના વધારા સાથે અત્યાર સુધીમાં કુલ 3774 દર્દી નોંધાયા છે.મૃત્યુઆંક 181એ પહોંચ્યો છે.
રાજ્યમાં ગઇકાલે 19 દર્દીના મોત થયા છે અને બધા જ લોકો અમદાવાદના હતા. 19 મોતમાંથી 15 દર્દી અન્ય બીમારીઓથી પીડાતા હતા.સરકારી આંકડાઓ મુજબ વધુ 40 દર્દી સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 56101ના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ખાસ અમદાવાદની વાત કરીએ તો રાજ્યના મોટાભાગના કેસ એકલા અમદાવાદમાં જ છે. ગઈકાલે અમદાવાદમાં નવા 164 કેસ સામે આવ્યા છે.
અમદાવાદમાં કુલ કેસની સંખ્યા 2543 થઇ ગઈ છે.અમદાવાદમાં કોરોનાને કારણે કુલ 128 લોકોના મોત થયા છે. 241 દર્દી સાજા થયા છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ કહ્યું કે અત્યારે કુલ 2016 એક્ટિવ કેસ છે. 1988ની હાલત સ્થિર છે અને 28 દર્દી વેન્ટીલેટર પર છે. તેમણે કહ્યું કે જમાલપુર, ખાડિયા, દરિયાપુર શાહપુર સહિત કુલ 6 વિસ્તાર રેડઝોનમાં છે અને બાકીના 42 વિસ્તાર ઓરેન્જ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે શહેરના રેડઝોનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.
મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે અત્યાર સુધીમાં કુલ 23702 ટેસ્ટ કરવામાં આવ્યા છે. દરરોજ 670 ટીમ કામ કરે છે. એક લાખ ઘરમાં 53 લાખ વસતિનું સર્વેક્ષણ થઈ રહ્યું છે.અત્યાર સુધીમાં 18220 સેમ્પલ લેવામાં આવ્યા હતા.હાલ ડબલિંગ રેટ 8 દિવસ થયો છે. મૃત્યુદર પણ ઘટી રહ્યો છે. આપણે સિનિયર સિટિઝન નું રક્ષણ કરવાની જવાબદારી લેવી પડશે અને તેમને ચેપ ન પાગે તેની તકેદારી રાખવી પડશે.