Uncategorized

વડોદરા બોટ કાંડની તપાસ માટે ગુજરાત સરકારે 7 સભ્યોની SIT ની કરી રચના

વડોદરા બોટ કાંડને લઈને પોલીસ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ કમિશ્નર મનોજ નિનામાના અધ્યક્ષસ્થાન પર 7 સભ્યોની SIT ની રચના કરવામાં આવી છે. આ તપાસ માટે ટીમમાં સાત પોલીસ અધિકારીઓનો સમાવેશ કરાયો છે. જેમાં એડિશનલ પોલીસ કમિશ્નર મનોજ નિનામાં SIT ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે. તેની સાથે વડોદરા DCP પન્ના મોમાયા અને DCP ક્રાઈમ યુવરાજસિંહ જાડેજા સુપરવિઝન અધિકારી, ACP ક્રાઇમ એચએ રાઠોડ તપાસ અધિકારી, હરણી પોલીસ સ્ટેશનના PI સીબી ટંડેલ સભ્ય, ક્રાઇમ બ્રાન્ચના PI એમએફ ચૌધરી સભ્ય અને ક્રાઈમ બ્રાન્ચના PSI પીએમ ધાકડાનો સભ્ય તરીકે SIT ની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

તેની સાથે વડોદરા પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતવાર જાણકારી આપવામાં આવી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વડોદરાના હરણી મોટનાથ લેક ઝોન ખાતે દુઃખદ ઘટના ઘટી છે. જેમાં 12 બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ નીપજ્યા છે. આ ઘટનામાં ગઈકાલના રોજ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનામાં તપાસ કર્યા બાદ સામે આવ્યું છે કે, કંપનીના 15 લોકો વચ્ચે પાર્ટનરશિપ કરવામાં આવી છે. પાર્ટનરોએ ટકાવારી પ્રમાણે શેર વહેંચી લેવામાં આવ્યા છે. આ ઘટના બાદ કંપનીના ત્રણ ડાયરેકટરોની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. આ સાથે કુલ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આ મામલામાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, એક આરોપીનું મૃત્યુ નીપજ્યું છે તે જાણકારી પ્રાપ્ત થઈ છે તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આરોપીના સરનામા બદલાયેલા છે તે મામલે અમે નવા સરનામા પ્રાપ્ત કરી લીધા છે. તપાસ યોગ્ય રીતે કરવામાં આવી રહી છે. તપાસ ACP ક્રાઈમ રાઠોડને સોંપવામાં આવી છે. તેની સાથે વધુમાં તેમને જણાવ્યું કે, 11 લોકોની અંતિમવિધિ પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે 3 લોકોના મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રખાયા છે. આરોપીની પકડી પૂછપરછ કરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસ બાદ વધુ આરોપીઓ સામે આવશે. જાણકારી મુજબ કંપની બની ત્યારે તેમાં શરૂઆતમાં ચાર ડાયરેક્ટરો રહેલા હતા, જેમાંથી બે નીકળી ગયા બાદ તેમાં બીજા નવા પાર્ટનરનો ઉમેરો થયો હતો.

પોલીસ દ્વારા જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં ભિમસિંગ યાદવ, રશ્મિકાંત પ્રજાપતિ, વેદ પ્રકાશ યાદવ, અંકિત વસાવા, નયન ગોહિલ અને શાંતિલાલ સોલંકીના નામ સામેલ છે. પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ ઘટનામાં અમને કોઈ રાજકીય દખલગીરી કરાઈ નથી. બે વર્ષ અગાઉ કોઈ NGO દ્વારા અરજી કરવામાં આવી હતી, જેમાં પાલિકાનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. અમારા દ્વારા તમામ બાબતો પર તપાસ કરવામાં આવી રહી છે. આરોપીને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા છીએ.