South GujaratGujaratSurat

દુઃખદ ઘટના : સુરતમાં મોપેડ પર જતા નવદંપતીને ટ્રકચાલકે અડફેટે લેતાં પત્નીનું મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત સુરતથી સામે આવ્યો છે.

સુરતમાં શહેરમાં એક નવદંપતીને અડફેટે લેવામાં આવતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આ નવદંપતિ મોપેડ પર નોકરીએ જઈ રહ્યું હતું. એવામાં રિંગરોડ પહોંચતા એક આઇસર ટ્રકના ચાલક દ્વારા તેમને અડફેટે લેવામાં આવ્યા હતો. પરંતુ આ દરમિયાન પત્નીનો દુપટ્ટો ટ્રકના ટાયરમાં ફસાઈ જતા તે નીચે પટકાઈ હતી અને તેના પરથી ટ્રકનું ટાયર ફરી વળતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ત્યાર બાદ તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. પરંતુ તે દરમિયાન હાજર તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

જાણકારી મુજબ, નાગપુરના મૂળ વતની અને સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી બીલિયા નગર સોસાયટીમાં રહેનાર શુભમ પરાતે પરિવાર સાથે વસવાટ કરી રહ્યો છે. પરિવારમાં માતા-પિતા અને 17 વર્ષીય પત્ની દિવ્યા રહેલ છે. એવામાં શુભમને સંબંધીની દીકરી દિવ્યા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જ્યારે બે મહિના પહેલા જ તેની સાથે શુભમ દ્વારા દિવ્યા સાથે લગ્ન કરવામાં આવ્યા હતાં.

તમને જણાવી દઈએ કે, શુભમ અને દિવ્યા વરાછા વિસ્તારમાં આવેલી મીત જેમ્સમાં રત્નકલાકાર તરીકે કામ કરતા હોવાના લીધે દરરોજની જેમ આજે સવારના ઘરેથી મોપેડ લઈને નોકરીએ જવા માટે નીકળેલા હતા. તે દરમિયાન ઉધના દરવાજા બ્રિજ પરથી રિંગરોડ તરફ જતા એક આઇસર ટ્રકના ચાલક દ્વારા દંપતિના બાઈકને ટક્કર મારવામાં આવી હતી. તેના લીધે શુભમે મોપેડ પરનું બેલેન્સ ગુમાવી દીધું અને તે  દરમિયાન દિવ્યાનો દુપટ્ટો ટ્રકના ટાયરમાં ફસાઈ જતા તે રસ્તા પર પટકાઈ હતી. ત્યાર બાદ ટ્રકનું આખું ટાયર તેના છાતી અને ગળાના ભાગમાં ફરી વળ્યું હતું. પતિ દ્વારા ટ્રકચાલકનો પીછો કરી તેને દૂર જઈને રોકવામાં આવ્યો હતો. તેમ છતાં તે નાસી ગયો હતો. ત્યાર બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી દિવ્યા પાસે પતિના પહોંચ્યા બાદ 108 ને જાણ કરાઈ હતી. દિવ્યાને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. તે દરમિયાન ફરજ પર રહેલા તબીબ દ્વારા તેને તપાસીને મૃત જાહેર કરવામાં આવી હતી. દિવ્યાના મોતના લીધે પરિવારમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે. આ મામલામાં સલાબતપુરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.