GujaratAhmedabad

સુરત બન્યું ક્રાઈમ સીટી, જૂની અદાવતમાં કાકાએ જ ભત્રીજાની કરી નાખી હત્યા

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને સતત સમાચારો સામે આવતા રહે છે જ્યારે આજે આવી જ એક બાબત સામે આવી છે. સુરતમાં શહેરમાં 19 એપ્રિલના રોજ ઉધના રેલ્વે સ્ટેશન પાસે એક યુવકની હત્યા કરવામાં આવી હતી. જ્યારે હવે આ મામલામાં મોટી જાણકારી સામે આવી છે. આ મામલામાં કાકા દ્વારા જ ભત્રીજાની હત્યા કરવામાં આવી હોવાની જાણકારી સામે આવી છે. બીજી તરફ પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરતા બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

સુરતના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉધના રેલવે સ્ટેશનની સામેના રોડ પાસે 19 એપ્રિલના રોજ બપોરના સમયે એક યુવકની હત્યાની ઘટના સામે આવી હતી. જેમાં અનિલ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. અનિલ નામનો વ્યક્તિ સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતો હોવાની જાણકારી સામે આવી છે. અનિલ ઉધના વિસ્તારમાં ખરીદી કરવા માટે ગયો હતો ત્યારે બે વ્યક્તિઓ રાજુ જગદેવ અને સુરેશ જગદેવ બંને અનિલ પાસે આવી ગયા અને અને અનિલ પર ચપ્પા વડે હુમલો કરી દીધો હતો. તેના લીધે અનિલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને ત્યાર બાદ તેનું મોત નીપજ્યું હતું.

આ મામલામાં પોલીસ દ્વારા અનિલના સંબંધીઓનું નિવેદન લઈને હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, જૂની અદાવતમાં આ હત્યા કરવામાં આવી  હતી. ત્યારે આ સમગ્ર બાબતમાં પોલીસ દ્વારા તપાસ કરીને અનિલની હત્યા કરનારા બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.