![The weather department has predicted relief, there will be a partial reduction in the scorching heat](/wp-content/uploads/2023/05/The-weather-department-has-predicted-relief-there-will-be-a-partial-reduction-in-the-scorching-heat.jpg)
રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીને લઈને પરેશાન થઈ ગયેલા લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, થોડા દિવસમાં કાળઝાળ ગરમીથી રાહત મળશે. આજે અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ યથાવત રહેશે. તેમજ 15 અને 16 મેના રોજ પણ યલો એલર્ટ રહેશે. 24 કલાક પછી રાજ્યના તાપમાનમાં ઘટાડો નોંધાવાનો શરૂ થશે. રાજ્યમાં 24 કલાક પછી તાપમાનનો પારો 2થી 4 ડિગ્રી જેટલો નીચે ઉતરી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી સૂકું વાતાવરણ રહેશે. જ્યારે રાજ્યનું તાપમાન 42થી 44 ડિગ્રીની આજુબાજુ રહે તેવી શક્યતા છે. આગામી પાંચ દિવસ સુધી રાજ્યના તાપમાનમાં 2થી 4 ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે. જ્યારે ગાંધીનગર તેમજ અમદાવાદનું તાપમાન 43થી 44 ડિગ્રી જેટલું રહેવાની સંભાવના છે. સાથે જ અમદાવાદમાં હવામાન વિભાગ દ્વારા એક દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે પછી યલો એલર્ટ બે દિવસ માટે આપવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં પડી રહેલ કાળઝાળ ગરમીને લઈને આગાહી કરી છે. અને કહ્યું છે કે, 15થી 16 મેના રોજ ગરમીમાં આંશિક ઘટાડો થાય તેવી શક્યતા છે. આંધી વંટોળનું રાજ્યમાં પ્રમાણ વધશે. તેમજ સમુદ્રમાં કૃતિકા નક્ષત્ર હલચલ કરાવે છે. જેથી પવનની ગતિ વધે છે અને તેના કારણે બાષ્પીભવનની પ્રકિયા વધશે. વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, પાકિસ્તાનની ઉપર થઇને આરબ દેશોમાંથી ગુજરાત તરફ ધૂળ આવશે અને રાજ્યમાં ઘૂળનું પ્રમાણ વધશે. ગુજરાતમાં આંધી તેમજ વંટોળનું પ્રમાણ વધુ જોવા મળશે.