AhmedabadGujarat

પિતા વિહોણી દીકરીઓને શિક્ષણ આપી તેમના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સ્વામિનારાયણ સંપ્રદાયની અનોખી પહેલ

અખાત્રીજના પાવન દિને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસતે સ્વામિનારાયણ કન્યા ગુરૂકુળનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. દેશમાં પહેલી વખત સ્વામિનારાયણ કન્યા ગુરુકુળ નિર્માણ પામશે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા ખાતે આવેલા વડોદ નામના ગામે દીકરીઓ માટેનું શ્રી સ્વામિનારાયણ કન્યા ગુરૂકુળ બનશે.

ઉલ્લેખનીય છે કે, અખાત્રીજના પાવન અવસરે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરતમાં સ્વામિનારાયણ કન્યા ગુરૂકુળનું ભૂમિપૂજન કરાયું હતું. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા ખાતે આવેલા વડોદ નામના ગામે રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુલ સંસ્થાનના ઉપક્રમે 120 કરોડથી થી 150 કરોડના ખર્ચે ત્રણ તબક્કામાં સ્વામિનારાયણ કન્યા ગુરુકુળ નિર્માણ પામશે. આ ગુરૂકુળમાં 2500 જેટલી દીકરીઓ અભ્યાસ કરી શકશે તેમજ અહીં દીકરીઓના નિવાસ,ભોજન,હોસ્ટેલની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ થશે.

નોંધનીય છે કે, પિતા વિહોણી દીકરીઓ હોય એટલે કે જે દીકરીઓના પિતા ના હોય તે દીકરીઓને આ ગુરૂકુળમાં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. સુરત ખાતે નિર્માણ પામનાર આ કન્યા ગુરૂકુળનું ગત રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શાસ્ત્રોક્ત વિધિ અને સંતોની વેદઋચાઓ સાથે ભૂમિપૂજન કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કન્યા ગુરૂકુળના મારફતે આપણી સનાતન સંસ્કૃતિ તેમજ પ્રાચીન ગુરૂ પરંપરાને આજના યુગમાં જીવંત રાખવાનો આ પ્રયાસ સરાહનીય છે. રાજ્ય સરકારના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના માધ્યમથી દીકરીઓના શિક્ષણને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું છે દીકરીઓ મેડિકલ શિક્ષણમાં આગળ વધે એ માટે સરકાર દ્વારા MBBSના ઉચ્ચ અભ્યાસ માટે 1285 દીકરીઓને સહાય પૂરી પાડવામાં આવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયની જેમ રાજ્ય સરકાર પણ દીકરીઓના ઉજ્જવળ ભાવિ માટે પ્રતિબદ્ધ છે.

તમને જણાવી દઈએ કે, સ્વામિનારાયણ કન્યા ગુરુકુળના શિલાન્યાસ સમારોહમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ, કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા, ધારાસભ્ય પુર્ણેશભાઈ મોદી, મેયર હેમાલીબેન બોઘાવાલા,ધારાસભ્ય વિનોદભાઈ મોરડીયા, કાંતિભાઈ બલર, સંદિપભાઈ દેસાઈ, સંગીતાબેન પાટીલ, સહિત સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી, મહંતો, અને અનેક ઉદ્યોગકારો તેમજ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.