અમદાવાદમા કોરોના ત્રીજા સ્ટેજમાં: એક જ દિવસમાં 10 કેસ વધતા કુલ કેસ 55, રાજ્યમાં કુલ 122 કેસ
ગુજરાતમાં હવે કોરોના ના કેસ દિવસે ને દિવસે વધી રહયા છે.અમદાવાદમાં કોરોના નું ત્રીજું સ્ટેજ ચાલુ થઇ ગયું છે તેમ કહી શકાય.આજે કોરોનાની વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું કે, અમદાવાદમાં આજે નવા 8 કેસ, ભાવનગરમાં 2, વડોદરામાં 1, છોટાઉદેપુર 1 અને સુરતમાં 2 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 122 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 11ના મોત નીપજ્યાં છે.
મહત્વની વાત એ છે કે રાજ્યમાં કુલ 122 કેસમાંથી 72 કેસ લોકલ ટ્રાન્સમિશનના કેસ છે. અમદાવાદમાં 53 પોઝિટિવ કેસ અને 5ના મોત થયા છે, ગાંધીનગરમાં 13 કેસ, સુરતમાં 15 કેસ અને 2ના મોત,પોરબંદરમાં 3 અને ગીરસોમનાથમાં 2 પોઝિટિવ કેસ જ્યારે કચ્છ, મહેસાણા, પંચમહાલ,પાટણ અને છોટા ઉદેપુરમાં માં 1-1 કેસ રાજકોટમાં 10 કેસ, ભાવનગરમાં 11 કેસ અને 2ના મોત થયા છે, વડોદરામાં 10 પોઝિટિવ કેસ અને 1નું મોત થયું છે.
તબલીઘ જમાતની મરકજમાં ગુજરાતથી ગયેલા વઘુ સાત લોકોની ઓળખ કરવામાં આવી છે. સાત નવા લોકો સાથે તબલીઘ જમાતની મરકજમાં ગયેલી કુલ 110 લોકોની ઓળખ થઇ ગઈ છે. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે લોકડાઉન બાદ નિજામુદ્દીન તબલીઘથી ગુજરાત પરત ફરેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. 10 લોકો વિરુદ્ધ ગુના નોંધવામાં આવ્યા છે.
ભાવનગરમાં કોરોના વાઇરસના વધુ બે કેસ નોંધાયા છે. 65 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક વૃદ્ધની પત્ની અને પુત્રવધૂને પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા બંનેને શહેરની સર ટી હોસ્પિટલમાં ખસેડાયા હતા.હવે આજે વૃદ્ધના સંપર્કમાં આવેલ 35 વર્ષની મહિલા અને 26 વર્ષના યુવાનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.