
અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરી દેવામાં આવી છે. તેને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. તેની સાથે અનેક જગ્યાએ શોભાયાત્રા કાઢીને આ પ્રસંગની ભવ્ય ઉજવણી પણ કરવામાં આવી હતી. ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ પ્રસંગ દ્વારા શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જ્યારે વડોદરાના પાદરાના ભોજગામે સોમવારે રામજીની શોભાયાત્રામાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. એવામાં હવે સમાચાર સામે આવ્યા છે કે, આ મામલામાં 27 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
વડોદરાના પાદરાના ભોજગામમાં થયેલા પથ્થરમારામાં 17 લોકો સામે નામજોગ અને અજાણ્યા 10 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કાવતરું રચીને રામજીની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ સિવાય ગાળો બોલી, ઉશ્કેરણીજનક ટિપ્પણી કરીને જાનથી મારી નાખવાના ઈરાદે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારામાં બે પુરુષો અને છ મહિલા સહિત આઠ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચાડવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, 22 મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામ નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થયા હતા. ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં શોભાયાત્રા સહિતના કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સોમવારના રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠાના દિવસે વડોદરાના પાદરના ભોજગામમાં રામની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પાદરના ભોજગામમાં રામની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં 8 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.