GujaratJamnagarSaurashtra

જામનગરમાં એક નવજાત શિશુનો ત્યજી દીધેલી હાલતમાં મળી આવ્યો મૃતદેહ, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ઘટસ્ફોટ

અનેક વખત નવજાત શિશુ ત્યજી દીધેલી હાલતમાં મળી આવે છે. પરંતુ જામનગરમાં એક નવજાત શિશુનો મૃતદેહ ત્યજી દીધેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે હાલ તો આ ઘટનાને પગલે પોલીસ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળ પર પહોંચી હતી. અને આ નવજાત શિશુના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી. જેમાં ચોંકાવનારી બાબત સામે આવી હતી.

ઉલ્લેખનીય છે કે, જામનગર જીલ્લાના 3 દરવાજા વિસ્તાર ખાતે આવેલ જુની ભંગાર બજાર રોડ પરની એક ગટર પાસે ત્યજી દેવાયેલી એક નવજાત બાળકી ને મૃત હાલતમાં મૂકીને કોઇ જતુ રહ્યુ હતુ. ત્યારે આ ઘટનાની જાણ થતાની સાથે જ સીટી બી પોલીસની ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળ પર પહોંચી હતી. અને બાળકીના મૃતદેહને જી.જી. હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ નવજાત બાળકીના મોતનું ચોંકાવનારું કારણ સામે આવ્યું હતું. આ બાળકીને છાતી-વાંસામાં ધુંબા મારવામાં આવ્યા હતા તો તેના આખા શરીરે વિખોડીયા ભર્યા હતા. તેમજ બોથડ પદાર્થ થી તેના માથાના ભાગ પર હુમલો પણ થયો હતો. જેને કારણે આ બાળકીનું મોત નીપજ્યું હતું.

તમને જણાવી દઈએ કે, હાલ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ ના આધારે સિટી બી ડિવિઝન પોલીસે આ સમગ્ર મામલે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. તેમજ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.