AhmedabadGujarat

અમરાઈવાડી વિસ્તારમાં ડમ્પરની અડફેટે આવતા આઠ વર્ષીય બાળકનું કમકમાટીભર્યું મોત, રોષે ભરાયેલા લોકોએ ડમ્પરને આગ ચાંપી દીધી

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત અમદાવાદના અમરાઈવાડી વિસ્તારથી સામે આવ્યો છે.

અમદાવાદના અમરાઈવાડી સ્વસ્તિક ચાર રસ્તા પાસે ગઈ કાલ રાત્રીના એટલે શનિવારના સાઈકલ લઈને નીકળેલા આઠ વર્ષના બાળકનું ડમ્પરની અડફેટે આવતા કરુણ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના લીધે રોષે ભરાયેલા લોકો દ્વારા ડમ્પરને આગ ચાંપી સળગાવી દેવામાં આવ્યું હતું. જ્યારે ડમ્પર ચાલક જીવ બચાવવા માટે ત્યાંથી નાસીને પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો. પોલીસ દ્વારા લોકોને સમજાવી મામલાને થાળે પાડવામાં આવ્યો હતો.

અમદાવાદના અમરાઇવાડી નેશનલ હેન્ડલૂમ પાસેની ચાચા નગરની ચાલીમાં રહેનાર પારસ વૈશ્ય ગઈ કાલ રાત્રીના પોતાના ઘર આગળ સાઈકલ ચલાવી રહ્યો હતો. તે સમયે ફૂલઝડપે પસાર થઇ રહેલા ડમ્પરના ચાલક દ્વારા પારસની સાયકલને ટકકર મારી અડફેટે લેવામાં આવતા ડમ્પરનું વ્હીલ પારસના શરીર પરથી ફરી વળ્યું હતું તેના લીધે તેનું ઘટનાસ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

આ ઘટનાના લીધે સ્થાનિક લોકો ગુસ્સે ભરાતા તેમના દ્વારા ડમ્પરને આગ ચાંપી સળગાવી દેવામાં આવ્યું હતું. ઘટનાની જાણકારી મળતા જ ટ્રાફિક પોલીસ, અમરાઇવાડી પોલીસ સહિતનો કાફલો અને ફાયર બ્રિગેડની ટીમો પણ ઘટનાસ્થળ પર પહોંચી આવી હતી. પોલીસ દ્વારા લોકોને સમજાવીને આ મામલાને થાળે પાડવામાં આવ્યો હતો.

તેમ છતાં લોકો દ્વારા ડમ્પર સળગાવી દેતા ડમ્પર ચાલક ભયભીત થઈ ગયો હતો. ત્યાર બાદ તે ત્યાંથી નાસીને નાગરવેલ પોલીસ ચોકીમાં પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ ડમ્પર જશુભાઈ ઓડની માલિકીનું રહેલું હતુ. ડમ્પરનો ડ્રાઈવર આ ડમ્પરને ચલાવી રહ્યો હતો. આ મામલામાં આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ડમ્પર ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.