AhmedabadGujarat

માધવપુરામાં યુવકની જાહેરમાં ઘાતકી હત્યા, બુલેટ લઈને ફરવા નીકળેલ યુવક પર સાત લોકો છરી વડે તૂટી પડ્યા

અમદાવાદમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે. અમદાવાદ ના માધવપુરા વિસ્તારમાં ગઈ કાલ રાત્રીના યુવકની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. યુવક બુલેટ લઇને નીકળેલો હતો તે સમયે કેટલાક લોકો તેની પાસે આવી ગયા અને તેના છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો. આ ઘટના બાદ પોલીસ કમિશનર જી. એસ. મલિક પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, દારૂના ધંધાને લઇને આ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જ્યારે પોલીસ દ્વારા આ મામલામાં આરોપીને પકડવા માટે તપાસ શરુ કરી છે.

પોલીસ સૂત્રો મુજબ, માધવપુરા વિસ્તારમાં આવેલા ઠાકોરવાસમાં રહેનાર કૃણાલ ઠાકોર નામનો ૧૯ વર્ષનો યુવક ગઈ કાલ રાત્રીના બુલેટ લઈને ફરવા માટે નીકળેલો હતો. કૃણાલ માધવપુરા વિસ્તારમાં આવેલી મેન્ટલ હોસ્પિટલ પાસે પાન પાર્લર આવેલ છે તે સ્થળે ઉભેલો હતો. તે સમયે જૂની અદાવત રાખીને સાતેક લોકો તેની પાસે આવી ગયા અને તેના પર આડેધડ છરીના ઘા મારી દીધા હતા. છરીના ઘા વાગવાના લીધે કુણાલ જમીન પર ઢળી પડ્યો અને તેનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ થઈ ગયું હતું.

તેની સાથે ઘટનાની જાણકારી મળતા માધવપુરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી આવી હતી. ત્યાર બાદ કુણાલની લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. કૃણાલની હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થઈ ગયો હતો. આ મામલામાં માધવપુરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. તેની સાથે તે પણ જાણકારી સામે આવી છે કે, કૃણાલની હત્યા પાછળ દારૂનો ધંધો જવાબદાર રહેલો તેવું જોવા મળી રહ્યું છે. દારૂના ધંધાની અદાવતના લીધે કૃણાલની હત્યા કરવામાં આવી છે.