બિનસચિવાલય આંદોલન હવે સરકારના કંટ્રોલની બહાર: યુવાનો ગાંધીનગરમાં ઉમટ્યા, રૂપાણીએ બેઠક બેઠક બોલાવી
બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાની વાત સાથે ઉમેદવારો ગાંધીનગરમાં ઉમટી પડ્યા છે.ગઈકાલે પોલીસે અટકાયત કર્યા બાદ પણ મોડી રાત્રે યુવાનો ગાંધીનગર આવ્યા હતા અને આખી રાત રોડ પર વિતાવી હતી.આજે સવારે આંદોલન ઉગ્ર બન્યું હોય તેવા અણસાર દેખાઈ રહયા હતા અને હવે સરકારના કંટ્રોલમાંથી બહાર છે. યુવાનો કોઈ પણ સંજોગોમાં ન્યાય માટે લડી લેવાના મૂડમાં છે.
હાર્દિક પ્રજાપતિ અને યુવરાજસિંહ જાડેજા નામના 2 પ્રતિનિધિએ કલેક્ટરને મળીને વાત રજૂ કરી હતી. તેમણે કહ્યું કે કે અમે કલેક્ટર સાહેબને SIT કમિટી બનાવીને યોગ્ય તપાસ કરવા જણાવ્યું છે. આ કમિટીમાં પ્રતિનિધિ યુવરાજસિંહ જાડેજા પણ હશે.કલેક્ટરને અમે રજૂઆત કરી છે તે વિશે કલેક્ટર મુખ્યમંત્રી સાથે બેઠક કરીને અમને આગળની કાર્યવાહી માટે જણાવશે.
તેમણે કહ્યું કે આ વાતચીત બાદ અમે આંદોલન સમેટી લેવાના નથી પણ વિદ્યાર્થીઓ સાથે જ બેસવાના છીએ.કલેક્ટર ડૉ. કુલદીપ આર્યાએ કહ્યું કે લોકો અહીં ધરણા કરી રહ્યા છે તેમની વાત અમે સાંભળી છે.વિદ્યાર્થી પ્રતિનિધિઓએ SITની રચના કરવાની માંગ કરી છે.
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ આજે આંદોલન કરી રહેલા ઉમેદવારોને મળવા પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે હું આંદોલનકારીઓની સાથે છું. આંદોલનકારીઓએ કહ્યું કે અમે પુરાવા આપ્યા છતાં સરકાર અમારી વાત માનવા તૈયાર નથી.વાઘેલા એ કહ્યું કે આજે હું ગર્વનરને વાત કરીશ કે થઇ શકે તો આ પરીક્ષાને રદ કરવામાં આવે.