GujaratMadhya Gujarat

પાટણના હારીજમાં મામલતદાર વેનાજી પટેલનું ત્રીજામાળેથી પટકાતા થયું શંકાસ્પદ મોત

પાટણના હારીજથી દુઃખદ ઘટના સામે આવી છે. પાટણના હારીજ મામલતદાર કચેરીમાં ફરજ બજાવનાર મામલતદાર કચેરી પરથી નીચે પડી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. નવીન મામલતદાર કચેરીમાં ફરજ બજાવનાર મામલતદાર વી. ઓ. પટેલનું મૃત્યુ નીપજ્યું છે. તેમ છતાં તેમને આત્મહત્યા કરી છે કે આકસ્મિક રીતે પડી ગયા છે જે બાબતમાં કોઈ જાણકારી સામે આવી નથી. આ મામલામાં હારીજ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

તમને જણાવી દઈએ કે, હારીજમાં મામલતદાર કચેરીના ધાબા ઉપરથી પડતા મામલતદારનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. રજાના દિવસે મામલતદાર કચેરીમાં આવી ધાબા ઉપર ગયા બાદ પડ્યા કે પડતું મૂક્યું તેને લઈને જાણકારી સામે આવી નથી. હાલમાં પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. તેમજ કલેક્ટર સહિતના અધિકારીઓ દ્વારા સ્થળ ઉપર પહોંચી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

જાણકારી મળી હારીજ મામલતદાર તરીકે ફરજ બજાવનાર વીઓ પટેલ સવારના સમયે રોજ કચેરીમાં આવી ચોકિયાત પાસે કચેરી ખોલાવવામાં આવી હતી. ત્યાર બાદ તે અંદર ગયા અને પછી તે ધાબા ઉપરથી નીચે પડતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે નીચે પડી મોત થયું હોવાનું ચોકિયાતને નજરે પડતા તાત્કાલિક આજુબાજુના લોકોને બોલાવીને આ મામલાની જાણ કરી હતી. ત્યાર બાદ થોડા જ સમયમાં કચેરીનો સ્ટાફ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા તેમના મૃતદેહને પીએમ અર્થે ખસેડી સમગ્ર ઘટના અંગે તપાસ હાથ શરુ કરી છે.