SaurashtraGujaratRajkot

પુરૂષોતમ રૂપાલાનો વિવાદ યથાવત, ક્ષત્રિયોએ ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાનો કાળા વાવટા ફરકાવી કર્યો વિરોધ

રાજકોટ ભાજપ ઉમેદવાર પુરૂષોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની મહિલા પર કરવામાં આવેલ વિવાદિત નિવેદનને લઈને તેમનો સતત ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે ક્ષત્રિય સમાજનું પાર્ટ-૨ આંદોલન શરુ કરાયું છે.  એવામાં વડોદરાના પાદરામાં ક્ષત્રિયો લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે.

જાણકારી મુજબ, વડોદરા પાસે પાદરામાં ક્ષત્રિયો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. અહીંના ઉમેદવાર જશુભાઈ રાઠવાનો ચૂંટણી પ્રચારમાં વિરોધ કરવામાં આવ્યો હતો. ક્ષત્રિય સમાજના લોકો દ્વારા જશુભાઈ રાઠવાને ગામમાં ઘૂસવા દેવામાં આવ્યા નહોતા. ક્ષત્રિયો દ્વારા કાળા વાવટા ફરકાવીને ભાજપના ઉમેદવારનો વિરોધ કરવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, ક્ષત્રિયો દ્વારા કાળા વાવટા ફરકાવીને ભાજપના ઉમેદવારને ગામમાં પ્રવેશ કરવા દીધો નહોતો. ત્યારે આ ઘટનાની જાણકારી મળતા પાદરા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. તેની સાથે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા લોકોને મનાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂષોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈને વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી. તેના લીધે ક્ષત્રિય સમાજના લોકોમાં રોષ યથાવત રહેલો છે. આ રોષ દિવસેને દિવસે સતત ઉગ્ર બની રહ્યો છે. એવામાં હવે ક્ષત્રિય સમાજના લોકો દ્વારા ભાજપનો પણ વિરોધ શરુ કરવામાં આવ્યો છે. તેની સાથે ક્ષત્રિય સમાજ દ્વારા શહેરો કરતા ગામડાઓમાં વધુ વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેના લીધે ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પુરૂષોતમ રૂપાલા દ્વારા રણનીતિ બદલવામાં આવી છે. પુરૂષોતમ રૂપાલા રાજકોટમાં છેલ્લાં પાંચ દિવસથી જુદા-જુદા સમાજનાં સ્નેહમિલનમાં હાજરી આપવામાં આવી રહી છે. પરંતું તેમના દ્વારા ગામડામાં જવાનું ટાળવામાં આવી રહ્યું છે.