GujaratVadodara

પાવાગઢ ડુંગર ઉપર જૈન તીર્થંકરોની મૂર્તિઓની તોડફોડ, જૈન સમાજમાં ભારે આક્રોશ

યાત્રાધામ પાવાગઢ ખાતે મોટા સમાચાર સામે આવ્યા છે. યાત્રાધામ પાવાગઢ ખાતે શ્વેતાંમ્બર જૈન મૂર્તિઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જ્યારે આ બાબતને લીધે જૈન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બન્ને તરફ આવેલી હજારો વર્ષ જૂની જૈન તીર્થંકરોની પ્રતિમાઓને વિકાસના નામે ખંડિત કરીને ફેંકી દેવામાં આવતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

જાણકારી મુજબ, આ ઘટના બનતા રવિવાર ના મોડી સાંજે મોટી સંખ્યામાં જૈનો પાવાગઢ પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા. તેમના દ્વારા તોડફોડ રોકીને જવાબદારો સામે પગલાં લેવા માટે માંગ કરવામાં આવી હતી. જૈન સમાજના અગ્રણીઓ અને સભ્યો મોડી રાત્રીના કલેક્ટર ઓફિસે પણ ગયા હતા.

આ બાબતમાં પાવાગઢ તીર્થ વિકાસ સમિતિ દ્વારા કહેવામાં આવ્યું છે કે, પાવાગઢ ડુંગર ઉપર મંદિર તરફ જવા માટે જૂના દાદરા રહેલા છે. તેની બન્ને બાજુ ગોખલાઓમાં ૨૨ મા તીર્થંકર નેમિનાથ ભગવાન સહિત સાત મૂર્તિઓ હજારો વર્ષથી સ્થાપિત રહેલ છે. જૈનો દ્વારા ત્યાં રોજ સેવા પૂજા કરવામાં આવે છે.

તેની સાથે જૈન સ્થાપત્યોની આ ધરોહરને ઇરાદાપૂર્વક નુકસાન પહોંચાડવામાં આવેલ છે. તેની સાથે આ ખંડિત મૂર્તિઓના ફોટોસ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તેના લીધે જૈન સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કેટલાક જૈન અગ્રણીઓ દ્વારા પાવાગઢ પોલીસ સ્ટેશનના અધિકારીઓને ટેલિફોનિક દ્વારા સંપર્ક કરી જવાબદાર તત્વો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તૈયારીઓ દર્શાવવામાં આવી હતી. પોલીસ દ્વારા આ બાબતમાં સંપૂર્ણ સહયોગ આપવાનું આશ્વાશન આપવામાં આવેલ છે. જ્યારે શ્વેતાંમ્બર જૈન પૌરાણિક મૂર્તિઓને કોના દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તેને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.