GujaratAhmedabad

કરણીસેનાના રાજ શેખાવતને પોલીસે એરપોર્ટ પરથી જ ઉપાડી લીધા, પાઘડી પણ નીકળી ગઈ

લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. એવામાં ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત દ્વારા આજે બપોરના 2 વાગ્યે કમલમ ખાતે કેસરી ઝંડા અને મજબૂત દંડા સાથે ક્ષત્રિયોને વિરોધ પ્રદર્શન માટે જોડાવવાનું કહેવામાં આવ્યું હતું. રાજ શેખાવત જયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા હતા. ત્યાર બાદ તેમને નજરકેદ કરી લેવામાં આવ્યા હતા. તેના પછી ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા રાજ શેખાવતની અટકાયત કરી લેવામાં આવી હતી. અટકાયત દરમિયાન શેખાવતની પોલીસ સાથે બોલાચાલી થઈ ગઈ હતી. તેમજ પોલીસવાનમાં બેસાડવા જતા પોલીસકર્મીથી પાઘડી નીકળી જતા તેઓ ગુસ્સે થઈ ગયા અને તે બૂમાબૂમ કરવા લાગ્યા હતા.

તમને જણાવી દઈએ કે, અટકાયત પહેલા એરપોર્ટથી રાજ શેખાવત દ્વારા એક વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો. તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હું જયપુરથી આવ્યો છું, અમદાવાદ એરપોર્ટ પર બેઠેલો છું. બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે. મને આત્મવિલોપન કરવા મજબૂર કરશો નહીં.

તેની સાથે રાજ શેખાવત દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, મેં સરકાર અને પ્રશાસનને કહ્યું છે કે, મને અને મારા ક્ષત્રિયોને કમલમ સુધી પહોંચવામાં તમે રુકાવટ બનશો તો હું આત્મવિલોપન કરી લઈશ. મને મજબૂર કરશો નહીં. જે આક્રોશ સાથે રજૂઆત અમારે કરવાની છે તે રજૂઆત કરવા માટે અમને કમલમ સુધી જવાનો જે રસ્તો છે એ સાફ કરી દો. અમને કોઈ રુકાવટ જોઈતી નથી. જ્યારે મિત્રો આપણે જે કહ્યું છે તે કરીશું. આ નિર્ણાયક લડત છે અને આ લડતમાં આપણે સફળતા પણ પ્રાપ્ત કરીશું. આપ સૌની હાજરી જ આપણને સફળતા અપાવશે, જ્યારે 2 વાગે કમલમ ખાતે મળીએ. જોઈએ કોને જીત મળે.