GujaratAhmedabad

પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિએ લીધો મોટો નિર્ણય

પુરુષોત્તમ રૂપાલા રૂપાલા વિવાદને લઈને મોટી જાણકારી સામે આવી છે. પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા રાત્રીના મુખ્યમંત્રી સહિતના મોટા નેતાઓ સાથે બેઠક કરી રૂપાલાને ઉમેદવારી કરતા અટકાવવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેમ છતાં 16 એપ્રિલના રોજ પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજકોટ લોકસભા બેઠક પરથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી દેવામાં આવ્યું હતું.

જ્યારે પુરુષોત્તમ રૂપાલાના ઉમેદવારી ફોર્મ ભરતા હવે સંકલન સમિતિ દ્વારા ભાજપના સ્પષ્ટ બહિષ્કાર સાથે ની રણનીતિ જાહેર કરવામાં આવી છે. તેની સાથે જ પાર્ટ-2 ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સંકલન સમિતિ દ્વારા 16 એપ્રિલના પ્રેસ કોન્ફરન્સ કરીને રૂપાલા વિરુદ્ધના આંદોલનને હવે ભાજપ વિરુદ્ધ નું આંદોલન બનાવવાની રણનીતિ જાહેર કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, આજે રામનવમી નિમિતે ભગવાન શ્રીરામ રાજ્યના ઘોષ સાથે પુરુષોત્તમ રૂપાલા નહીં, પરંતુ હવે ભાજપ સામેની રણનીતિ જાહેર કરવામાં આવી છે. તેની સાથે રામનવમીથી આંદોલનના  દ્વિતીય ચરણમાં હવેથી ભાજપનો સ્પષ્ટ બહિષ્કાર કરાશે. ગુજરાતમાં જ્યા જ્યા પણ ભાજપની સભાઓ-કાર્યક્રમ થશે ત્યાં ક્ષત્રિય સમાજ દ્વારા કાળા વાવટા ફેરવી શાંતિપૂર્વક ભાજપના કાર્યક્રમનો વિરોધ કરાશે. ગુજરાતના ક્ષત્રિયો વસતા દરેક ગામોમાં ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાના બેનર લગાવાશે. 19 એપ્રિલ સુધી જો રૂપાલાનું ફોર્મ પરત ખેંચવામાં ન આવે તો આગામી 7 મે સુધી સમગ્ર ગુજરાતમાં ભાજપ વિરોધમાં  પ્રચાર ઝુંબેશ શરૂ કરાશે. જ્યારે 7 મે ના થનારી લોકસભા ચૂંટણીમાં ભાજપનો બહિષ્કાર કરીને વિરોધમાં ઉભેલા સક્ષમ ઉમેદવારને મત આપવાની અપીલ કરાશે. દરેક ક્ષત્રિય તથા ક્ષત્રિય સમાજને સમર્થન આપનાર દરેક સમાજને સાથે લઈને સમગ્ર ગુજરાતની 26 લોકસભા સીટ ઉપર ભાજપ વિરૂદ્ધમાં મતદાન કરાવવામાં આવશે. જ્યારે આગામી 19 એપ્રિલના સાંજે 05 કલાકના સંકલન સમિતિ દ્વારા આગામી કાર્યક્રમો નક્કી કરીને ફરી જાહેરાત કરાશે.