SaurashtraGujaratJamnagar

જામનગરમાં કોંગ્રેસી નેતા અને ખ્યાતનામ એડવોકેટ હારુન પાલેજાની સરાજાહેરમાં હત્યા

જામનગરમાં વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા અને વ્યવસાયથી વકીલ એવા હારૂન પાલેજાની બુધવાર સાંજના બેડી વિસ્તારમાં સરાજાહેર હત્યા કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. હારુન પાલેજા બેડી વિસ્તારમાંથી પોતાનું બાઈક લઈ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન 10 જેટલા શખ્સો દ્વારા તિક્ષણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો.

ત્યાર બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા નેતાને હોસ્પિટલ ખસેડવામાં આવતા ડોકટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણકારી મળતા જ જામનગર એસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. આ મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હારૂન પાલેજાની હત્યાના વિરોધમાં જામનગરના વકીલ મંડળ દ્વારા આવતીકાલના કોર્ટ કામગીરીથી અળગા રહેવાની જાહેરાત કરવામાં આવી છે.

જાણકારી મુજબ, જામનગર શહેરના બેડી વિસ્તારમાં રહેનાર અને વકીલાત કરતા હારુન પાલેજા બુધવારના સાંજના સમયે પોતાનું મોટર સાયકલ લઈને બેડી વિસ્તારમાંથી જઈ રહ્યા હતા. તે સમયે 10 જેટલા શખ્સો દ્વારા તેમના પર તિક્ષણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત હારુન પાલેજાને જામનગર જીજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. તેમ છતાં ફરજ પરના ડોકટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

ઘટનાની જાણકારી મળતા જામનગર એસપી સહિતનો પોલીસ કાફલો બેડી વિસ્તારમાં અને હોસ્પિટલ પર દોડી આવ્યો હતો. હત્યાના ઘટનાને અંજામ આપી નાશી છુટેલા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, જામનગરમાં વકીલાત કરતા અને વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા હારૂન પાલેજા હાલ સિક્કા નગરપાલિકાના પ્રભારી તરીકે કાર્યરત રહેલા હતા. જ્યારે તેમના ભત્રીજા નુરમામદ પાલેજા હાલ જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર-1 માં કોંગ્રેસના કોર્પોરેટર તરીકે કાર્યરત રહેલા છે.

તેની સાથે વકીલ અને કોંગ્રેસ નેતા હારૂન પાલેજાની સરાજાહેર હત્યા કરવામાં આવતા જામનગર વકીલ મંડળમાં ઘેરા પડઘા પડ્યા છે. હારૂન પાલેજાની હત્યાના વિરોધમાં ગુરુવારના જામનગર વકીલ મંડળના તમામ સભ્યો દ્વારા કોર્ટ કાર્યવાહીથી દૂર રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.